Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેઘતાંડવથી સુરત બેહાલ: પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, 2100 લોકોનું સ્થળાંતર અને શાળા-કોલેજોમાં રેડ એલર્ટ

surat flood
surat flood
સુરતમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સરથાણ વિસ્તારમાં આવેલી આદર્શ નિર્વાસિત સ્કૂલ પાણીમાં ઘેરાઈ જતાં ત્યાં 37બાળકો અને શાળાનો સ્ટાફ ફસાઈ ગયો હતો, જેમને સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ જ રીતે, વ્રજચોક વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે એક એસટી બસ અધવચ્ચે ફસાઈ ગઈ હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બસમાં સવાર 28 મુસાફરોને ટ્રેક્ટરમાં બેસાડીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

વ્યાપક જળબંબાકાર: 2100 લોકોનું સ્થળાંતર અને એમ્બ્યુલન્સ ફસાઈ

 
શહેરના વેસુ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ખાટુશ્યામ મંદિર પાસે રસ્તાઓ પર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેમાં દર્દીઓની સેવા માટે દોડતી એક એમ્બ્યુલન્સ પણ જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરીને અલગ-અલગ વિસ્તારોમાંથી અંદાજે 2100  જેટલા લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનો અટવાયા છે અને ભારે ટ્રાફિક જામ દ્રશ્યમાન થઈ રહ્યો છે.
ALSO READ: 21 રાજ્યોમાં આફત આવવાની છે! IMD એ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે

પૂર્ણા નદીમાં ઘોડાપૂર અને તંત્ર દ્વારા રેડ એલર્ટની જાહેરાત

ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં વરસી રહેલા અતિભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદીમાં નવા નીરની ભારે આવક થઈ છે. નદીની જળસપાટી 19 ફૂટની નજીક પહોંચતા ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે નદીકાંઠાના વિસ્તારોમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટરે રેડ એલર્ટ જાહેર કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ શાળા, કોલેજો અને આંગણવાડીઓ આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કલેક્ટરે નાગરિકોને ગભરાટ ન રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.


 
ઈન્ચાર્જ પોલીસ કમિશનરનું પેટ્રોલિંગ અને કીમ ગામના મંદિરો પાણીમાં ગરકાવ
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર પોતે જ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. બીજી તરફ, સુરતના કીમ ગામમાં આવેલ ઐતિહાસિક હરિહરેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ અને અંબાજી મંદિરના ગર્ભગૃહ સુધી પાણી ભરાઈ ગયા છે, જેમાં શિવલિંગ પણ ડૂબી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષથી નબળી ડ્રેનેજ લાઇનના કારણે સર્જાતી આ સમસ્યાને લીધે સ્થાનિકો અને દર્શનાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બલેશ્વર ગામ સંપર્કવિહોણું: કુદરતી કાંસ બંધ થતાં હાલાકી

ભારે વરસાદના પગલે બલેશ્વર ગામની ૩૨ ગંગા ખાડીમાં પાણીનો પ્રવાહ ખતરનાક સ્તરે વધી ગયો છે. આ પૂરના કારણે બલેશ્વરથી નેશનલ હાઇવે-48 અને ટુંડી-બગુમરા ગામને જોડતા રસ્તાઓ સંપૂર્ણ બંધ થઈ જતાં ગામ સંપર્કવિહોણું બન્યું છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, હાઇવે પર થયેલા આડેધડ બાંધકામો અને કુદરતી પાણીના નિકાલના માર્ગો (કાંસ) બંધ થઈ જવાને કારણે દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે. જો વરસાદ ચાલુ રહેશે તો ખાડી કિનારે આવેલા અન્ય ૪૫ ઘરોનો સંપર્ક પણ તૂટી જવાની ભીતિ છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

21 રાજ્યોમાં આફત આવવાની છે! IMD એ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે