Publish Date: Thu, 02 Jul 2026 (16:22 IST)
Updated Date: Thu, 02 Jul 2026 (16:49 IST)
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે આગામી 30 જુલાઈએ યોજાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 6 જુલાઈએ ચૂંટણીની સત્તાવાર જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 13 જુલાઈ રાખવામાં આવી છે, જ્યારે 14 જુલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને 16 જુલાઈ સુધી ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.
આ પેટાચૂંટણી ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના દુઃખદ અવસાન બાદ ખાલી પડેલી બેઠકને કારણે યોજાઈ રહી છે. તેઓ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા અને લાંબા સમયથી આ બેઠક પરથી સતત વિજય મેળવીને વિધાનસભામાં ચૂંટાઈ આવતા હતા. તેમના નિધનથી સર્જાયેલી ખાલી જગ્યાને ભરવા માટે હવે ચૂંટણી પંચે બંધારણીય પ્રક્રિયાના ભાગરૂપે આ ચૂંટણીની જાહેરાત કરી છે.
રાજકીય દ્રષ્ટિએ આ ચૂંટણીને વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલાં એક મહત્વપૂર્ણ પરીક્ષણ માનવામાં આવી રહી છે. પેટાચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગી માટે આંતરિક કવાયત અને બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આગામી દિવસોમાં માંજલપુર મતવિસ્તારમાં રાજકીય ગતિવિધિઓ તેજ બનશે અને બંને પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.