Publish Date: Tue, 11 Dec 2018 (12:59 IST)
Updated Date: Tue, 11 Dec 2018 (13:01 IST)
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોથી ફફડી ઉઠેલા ગુજરાત ભાજપના નેતાઓએ હવે જસદણમાં જોર લગાવવા માટેની નવી વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યું છે, કેમકે પાંચ રાજ્યો બાદ જસદણની પેટાચૂંટણી માત્ર ગુજરાત ભાજપ જ નહીં નરેન્દ્ર મોદી અને અમિત શાહની શાખનો સવાલ બની જશે. પરિણામોની સીધી અસર જસદણ પેટાચૂંટણી પર પડે તો ગુજરાત ભાજપની શાખ બગડશે.
ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 20 વર્ષમાં સૌથી ઓછી બેઠકો(99) મળી હતી, માત્ર એટલું જ નહીં જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બાવળિયા લડી રહ્યા છે. તો બીજી બાજુ આજે જાહેર થયેલા પાંચ રાજ્યોના પરિણામો ભાજપની વિપરીત આવ્યા છે, ત્યારે આ પાંચ રાજ્યના પરિણામોની સીધી અસર જસદણ વિધાનસભાની પેટાચૂંટણી પર પડે તો ગુજરાત ભાજપની શાખ બગડશે.
તેની સાથે સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતમાં કેબિનેટ મંત્રી ચૂંટણી હારી જાય તો મોદી-શાહની શાખ પણ બગડે તેમ છે. જેને કારણે ગુજરાત ભાજપના નેતાઓ ફફડી ઉઠ્યાં છે. આથી જસદણમાં વધુ જોર લગાવવા માટે નવેસરથી પ્રચાર અને મતદાનની વ્યૂહરચના ઘડવા માટે બેઠકોનો દોર શરૂ કરી રહ્યા છે. જેમાં હવે જસદણનો જંગ જીતવા માટે ભાજપ હાઈકમાન્ડ પણ સીધુ માર્ગદર્શન આપી શકે છે.