Publish Date: Wed, 05 Aug 2020 (15:28 IST)
Updated Date: Wed, 05 Aug 2020 (15:33 IST)
આજે રામ કાજનો દિવસ છે. ત્યારે સૌરાષ્ટ્ર આખુ રામમય બન્યુ છે. ઠેર-ઠેર અયોધ્યાના વધામણાં કરવામાં આવી રહ્યાં છે. આજે અયોધ્યામાં શિલાન્યાસ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ મીઠાઈ વહેંચી અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ ભાજપ કાર્યાલયને શણગારી નેતાઓ રાસ રમ્યા હતાં. આ કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારીયા, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ નેતા ધનસુખ ભંડેરી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. નેતાઓએ દીવા પ્રગટાવી એક બીજાને મો મીઠુ કરાવી ઉજવણી કરી હતી.રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ નેતાઓએ ભાજપ કાર્યાલયને શણગારીને રાસ રમ્યા હતા. ભાજપના કાર્યકરોએ જય શ્રીરામ અને હનુમાનજીના નારા લગાવ્યા હતાં. બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતાં. અનેક નેતાઓના મોઢા પરથી માસ્ક ઉતરી ગયેલા જોવા મળ્યાં હતાં.ભાજપના નેતાએ જણાવ્યું હતું કે રામ મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે ખુબ આનંદ થઈ રહ્યો છે. દેશભરમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. ત્યારે અમને ખુબ જ ખુશી થાય છે. આજે દેશભરના લોકોનું સપનું પૂર્ણ થશે. જેથી અમે આજે ફટાકડા ફોડી ઉજવણી કરી છે. મહત્વનું છે કે આજે સાંજે દિવાળીની જેમ આખા સૌરાષ્ટ્રમાં ઘરે-ઘરે દીપ પ્રાગટ્યનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.