Publish Date: Fri, 05 Jan 2018 (10:01 IST)
Updated Date: Fri, 05 Jan 2018 (12:09 IST)
ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓ પરથી આંગળીના વેઢે ગણી શકાય એટલી ફિલ્મો બની છે. આઝાદી પછીના દાયકાઓ પર નજર કરીએ તો `માનવીની ભવાઇ', `ભવની ભવાઇ', `કંકુ', `ઝેર તો પીધાં છે જાણી જાણી', `કાશીનો દીકરો' કે `હું હું હુંશીલાલ' યાદ આવી જાય છે. આ જ શ્રેણીમાં મૂકી શકાય એવી એક ફિલ્મ `ધાડ' છે. એનું નિર્માણ કોઇ વ્યાવસાયિક સાહસરૂપે નહીં પરંતુ વિશિષ્ઠ પરિવેશ અને અનોખી સંસ્કૃતિ ધરાવતા કચ્છ પ્રદેશની કલાકૃતિ તરીકે પેશ કરવાની નેમ સાથે થયું હતું. ગુજરાતી ફિલ્મ તો અનેક બનતી હોય છે પરંતુ અમારી ફિલ્મ કંઇક અલગ હકવાનો દાવો કરાયો છે. સ્વ. જયંત ખત્રીની વાર્તા ઉપરથી બનેલી આ ફિલ્મ ''ધાડ''માં કચ્છીઓના સંઘર્ષની ગાથા રજુ કરવામાં આવી છે નંદીતાદાસ, કે.કે. મેનન અને રઘુવીર યાદવ જેવા કલાકારોએ અભિનયના ઓજસ પાર્થયા છે.
ફિલ્મના દિગ્દર્શન પરેશ નાયકે જણાવેલ કે ભાગ્યે જ કોઈ ફિલ્મની નિર્માણ પ્રક્રિયાનો અંતિમ તબક્કો ધાડ જેટલો પ્રલંબ, પીડાદાયક, મુશ્કેલીઓભર્યો ને તોય દિલચસ્પ અને રોમાંચક રહ્યો હશે. ફિલ્મની રીલીઝની કામગીરી સીધેસીધા એમાં કેપ્ટન ઓવ ધ શીપ હોવાના નાતે અગ્રેસર રહેવાનું બન્યુ એની વિગતસર ગાથા મારા આગામી પુસ્તક ફિલ્લમફેરીમાં દર્જ હશે. કિર્તી ખત્રી કહે છે કે તેમના પિતા સ્વ. જયંત ખત્રીની વાર્તા ઉપરથી બનેલી ''ધાડ'' ફિલ્મએ નંદીતાદાસ કે. કે. મેનન અને રઘુવીર યાદવનાં જાનદાર અભિનય તેમજ કચ્છના પરીપ્રેક્ષ્ય કચ્છનાં માનવીઓનાં સંઘર્ષ, સમસ્યા અને સંજોગો સામે ઝઝુમવાની ખુમારીનાં કારણે માનવીની ભવાઇ અને કાશીનો દીકરો જેવી ગુજરાતી ફિલ્મ છે. ''ધાડ'' ફિલ્મમાં નંદીતાદાસ નો અભિનય લાજવાબ છે ગુજરાતીની સાથે સાથે કચ્છી ભાષામાં બનેલી ફિલ્મ ''ધાડ'' એ કચ્છ ગુજરાતના પરીપ્રેક્ષ્ય ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરવાની તાકાત ધરાવે છે. આ ફિલ્મની પટકથા જાણીતા સાહિત્યકાર વિનેશ અંતાણીએ લખી છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોની સંસ્કૃતિની ઝલક આજે પ્રવાસન ક્ષેત્રે પણ લોકપ્રિય છે. ત્યારે કચ્છના પરિવેશ, કચ્છની ધરતી અને ગ્રામીણ સંસ્કૃતિ અને કચ્છી માનવીઓના ખમીરને ઉજાગર કરતી ''ધાડ'' ફિલ્મને ગુજરાતી પ્રેક્ષકો વધાવી લેશે એવી આશા વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રીએ વ્યકત કરી છે.
webdunia
Publish Date: Fri, 05 Jan 2018 (10:01 IST)
Updated Date: Fri, 05 Jan 2018 (12:09 IST)