Publish Date: Mon, 16 Oct 2017 (08:02 IST)
Updated Date: Mon, 16 Oct 2017 (11:02 IST)
ગુજરાતની અંદર દિવાળીનો શુભારંભ વાઘ બારશના દિવસથી થઈ જાય છે. વાઘ બારસને સત્તાવાર રીતે દિવાળી પર્વનો પહેલા દિવસ માનવામાં આવે છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે. આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે,'વસુ' એટલે ગાય,ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.
વાઘ બારસ પર્વે ગૌ પૂજન અને સરસ્વતી પૂજનનો મહિમા છે. વૈષ્ણવ લોકો આજે ગાય અને વાછરડાની પુજા કરીને તેમને અડદના વડા ખવડાવે છે. તેને તેઓ ગોવત્સ દ્વાદશી પણ કહે છે. સ્ત્રીઓ ઘરના ઉંમરાની પુજા કરીને મોટી રંગોળી બનાવે છે જેમાં વાઘનું ચિત્ર કાઢેલુ હોય છે. તેથી તેને વાઘ બારસ પણ કહે છે.
વર્ષ દરમિયાન કોઈની સાથેની પણ લેવડ દેવડને પુર્ણ કરવી એટલે કોઈની પાસેથી પૈસા લીધા હોય કે તેને આપવાના હોય તે આ દિવસે પુર્ણ કરવું તે પણ આ તહેવારના એક ભાગ રૂપે માનવામાં આવે છે.
આજના દિવસે વેપારીઓ પોતાના જુના ચોપડાના હિસાબોને પુર્ણ કરીને નવા ચોપડાનું શારદાપુજન કરે છે. ત્યાર બાદ ત્રણ દિવસ સુધી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી થતી. અને ત્યાર બાદ નવા વર્ષે નવા ચોપડા ખરીદીને પૈસાની લેવડ દેવડ ચાલુ કરે છે.