આ વ્રત કરવાથી પતિની તંદુરસ્તી સુધરે છે. બાળકોની સુખાકારી વધે છે.આ વ્રત જે કુંવારી છોકરી કરે છે તેને નીતિવાન તથા ઉત્તમ સંસ્કારી છોકરો પતિ તરીકે મળે છે. શાસ્ત્રાજ્ઞા મુજબ આ વ્રત 5 વર્ષ અથવા 11 કરવાનું હોય છે. વ્રત પૂરું થયેથી લોકાચાર મુજબ જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું.
જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે, આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે, આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે. આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતિનું વરદાન પ્રાપ્ત થાય છે. તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે. આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી 'જય જય ગિરીબર રાજ કિશોરી' પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી, અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું.
વ્રતની વિધિ :
- અષાઢ સુદ તેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણા કરવા.
- ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું.
- શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો.
- સૌ પ્રથમ ગણેશપૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ, પાણી, બિલિપત્ર, કુમકુમ, કસ્તુરી અને ફૂલ ચઢાવી પૂજા કરવી, જેમાં જવેરાની પૂજા પણ મહત્વની છે.
- કોઈપણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવા.
- પછી વિધિ વિધાનથી ષોડપચાર પૂજન કરવું.
- માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી.
- વ્રત દરમ્યાન માત્રને માત્ર ફળ-દૂધ દહીં, ફ્રુટ જ્યુસ, ડ્રાયફ્રુટ જમવામાં લઇ શકાય. તે સિવાય એકપણ વસ્તુ ખાવાની મનાઇ છે. દૂધની મીઠાઇ ખાઇ શકાય છે. ટૂંકમાં અલૂણા રહેવાની વાત છે.
- છેલ્લા દિવસે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.
- વ્રત દરમ્યાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઇ છે.
- વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવાનું મહત્વ છે.
- વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે, સાત વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે.
મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે, સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે, એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નૌજવાન દીકરીઓ આ પ્રકાના આશિર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે.
- વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે.અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય, તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલૂણા રહેવાનું મહત્વ છે.
જયા પાર્વતી વ્રત કથા
એક બ્રાહ્મણ દંપતી ધર્મ (પતિ) અને રૂપવતી (પત્ની) રહેતા હતા. તેમને ત્યાં કોઈ સંતાન ન હતું. એકવાર ઋષિ દુર્વાસા તેમના આશ્રમે આવ્યા અને રૂપવતીએ તેમની ઉત્તમ સેવા કરી. ઋષિએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે તેમના ઘરે પુત્રનો જન્મ થશે. થોડા સમય બાદ તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો, જેનું નામ 'ગોપાલ' રાખવામાં આવ્યું.ગોપાલ મોટો થયો ત્યારે તેના લગ્ન એક સુંદર કન્યા સાથે થયા. પરંતુ વિધાતાના લેખ અનુસાર, લગ્નના થોડા સમય બાદ જ સર્પદંશથી ગોપાલનું મૃત્યુ થયું. આ દુર્ઘટનાથી તેની પત્ની ખૂબ જ દુઃખી થઈ અને પતિના મૃતદેહને ખોળામાં લઈને રડવા લાગી.
ALSO READ: Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી
તેવામાં ત્યાં નારદજી આવ્યા. તેમણે રૂપવતીની પુત્રવધૂને દિલાસો આપ્યો અને તેને જયા પાર્વતી વ્રત કરવાની સલાહ આપી. નારદજીએ જણાવ્યું કે, જો તે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરશે તો તેનો મૃત્યુ પામેલો પતિ જીવિત થઈ જશે.પુત્રવધૂએ નારદજીની આજ્ઞા મુજબ અષાઢ સુદ તેરસથી પાંચ દિવસ સુધી પૂરી ભક્તિભાવથી જયા પાર્વતી વ્રત કર્યું અને જુવારાની પૂજા કરી. વ્રતના પ્રભાવથી માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થયા. માતા પાર્વતીએ તેને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું અને તેનો પતિ સજીવન થયો. ત્યારથી આ વ્રતનું મહત્વ ખૂબ વધી ગયું છે અને સ્ત્રીઓ તેને નિયમિત રીતે કરે છે.