Publish Date: Wed, 22 Nov 2017 (16:24 IST)
Updated Date: Wed, 22 Nov 2017 (16:27 IST)
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતાં જ બંને પક્ષ વચ્ચે ગરમા ગરમીનો માહોલ સર્જાઈ ગયો છે. આજે હાર્દિક પટેલ દ્વારા પ્રેસ કોન્ફરસ કરવામાં આવી ત્યારબાદ તરત જ ભાજપના નીતિન પટેલ દ્વારા પણ એક પ્રેસ યોજવામાં આવી હતી. નીતિન પટેલે કહ્યું હતું કે હાર્દિક પણ જાણતો હતો કે ૫૦ ટકાથી વધુ અનામત અસંભવ છે. જો કે કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે અનામત આપવાની વાત બંધારણના નિયમ મુજબ જ છે. અમે કોઈપણ કાર્ય ગેરબંધારણીય રીતે કરતાં નથી.
કપિલ સિબ્બલે કહ્યું હતું કે હાર્દિક પટેલે અનામતનો જે પ્રસ્તાવે આપ્યો છે તે સંવિધાનની મર્યાદામાં જ છે. ભાજપ ગેરમાર્ગે દોરે છે. હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલન સમિતિની માંગણી સ્વિકારી લીધી છે. વધુમાં હાર્દિકે જણાવ્યું હતું કે મારે મારા સમાજ માટે કામ કરવાનું છે અને સત્તામાં રહેવું જરૂરી નથી. ગુજરાતના વિકાસની ખોટી તસ્વીર ભાજપ દ્વારા દુનિયામાં બતાવવામાં આવે છે. હાર્દિકે જણાવ્યું હતું કે અમે કોંગ્રેસ સાથે એકપણ ટીકીટ માટે ભલામણ નથી કરી. આ લડાઈમાં જે અમારી સાથે છે તેનું સમર્થન કરીશું. વધુમાં નીતિન ભાઈએ હાર્દિક પટેલ બાદ પોતાની પ્રેસ કરી હતી જેમાં પાટીદાર સમાજને મુર્ખ કહેતાં હાર્દિક પટેલે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.હાર્દિકે લખ્યું કે " ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ પાટીદાર સમાજને મુર્ખ કહ્યો પણ ભાજપવાળા સાંભળી લે કે ગુજરાતની જનતાને મુર્ખ ના સમજો. આ ગુજરાતની જનતા હવે તમને જનતા રાજ બતાવશે.