Publish Date: Wed, 17 Jul 2019 (17:41 IST)
Updated Date: Wed, 17 Jul 2019 (17:44 IST)
દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના જામનગર જોડિયા ખાતે પી.પી.પી. ધોરણે શરૂ થનાર પ્લાન્ટથી માત્ર ૫.૭ પૈસે પ્રતિલીટર પાણી વપરાશકારોને મળશે તેમજ દુષ્કાળ જેવી સ્થિતિમાં મીઠુ પાણી મેળવવાનો વધુ વિકલ્પ ગુજરાતની પ્રજાને મળશે એમ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
ગાંધીનગર: જામનગર જિલ્લાના ખારા પાણીને મીઠુ બનાવવાના પ્રોજેકટ અંતર્ગત જામનગર જિલ્લાના જોડિયા ખાતે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને ડીસેલીનેશન દ્વારા મીઠુ પાણી બનાવતી એજન્સી રૂ. ૭૦૦ કરોડનું રોકાણ કરી માત્ર ૫.૭ પૈસે પ્રતિલીટર પાણી ૨૫ વર્ષ સુધી પુરૂ પાડશે. આ માટે થયેલ નિયત ટેન્ડર શરતો અનુસાર સંબંધિત પ્લાન્ટનું મેઇન્ટેનન્સ, પાવર બિલ સહિત તમામ ખર્ચ જે તે કંપની ભોગવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારાના સાત જિલ્લાઓમાં દરિયાના ખારા પાણીને ડીસેલીનેશન દ્વારા મીઠુ બનાવવાના પ્લાન્ટ માટેની પ્રક્રિયાઓ જુદા જુદા તબક્કામાં છે. આ જિલ્લાઓમાં પણ વપરાશકારોને બજારમાં મળતા પ્રતિલીટર મીઠા પાણીથી સસ્તુ પાણી વપરાશકારોને મળશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જામનગર ખાતે ઇજારદાર પાસેથી પ્રતિદિન ૧૦૦ એમ.એલ.ડી. પાણી રૂ.૫૭ પ્રતિ હજાર લીટરના દરે બે વર્ષ સુધી પુરૂ પાડશે.