Publish Date: Wed, 12 Aug 2026 (18:20 IST)
Updated Date: Wed, 12 Aug 2026 (18:21 IST)
વડોદરાના ઉંડેરા વિસ્તારમાં 31 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ સીમા તરીકે થઈ છે. પરિવારજનોએ સાસરિયાઓના કથિત ત્રાસને કારણે સીમાએ આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
મળતી માહિતી મુજબ, સીમાના લગ્ન બાદથી જ સાસરિયાઓ દ્વારા તેને કથિત રીતે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે. પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સાસરિયાઓ દ્વારા પ્લોટ માટે 2 લાખની માંગણી કરવામાં આવતી હતી.
પગ પર હિન્દીમાં લખી સુસાઈડ નોટ
આ કેસમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે સીમાના પગ પર હિન્દીમાં લખાણ મળી આવ્યું છે, જેને પરિવારજનોએ સુસાઈડ નોટ ગણાવી છે. તેમાં કથિત રીતે સાસરિયા પક્ષના ત્રાસ અને અન્ય બાબતોનો ઉલ્લેખ હોવાની માહિતી સામે આવી છે.
પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પતિ દ્વારા સીમાના ભાઈને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે તપાસ શરૂ કરી
ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે સમગ્ર મામલે સુસાઈડ નોટ સહિતના પુરાવા એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ સીમાના આપઘાત પાછળના ચોક્કસ કારણો અને આક્ષેપોની હકીકત સ્પષ્ટ થશે.