Publish Date: Tue, 03 Sep 2019 (19:10 IST)
Updated Date: Tue, 03 Sep 2019 (19:07 IST)
-: પવિત્ર યાત્રાધામ સોમનાથ સ્વચ્છ આઇકોનીક પ્લેસ જાહેર થયું
......
૬ સપ્ટેમ્બરે દિલ્હીમાં એવોર્ડ એનાયત થશે
-: મુખ્યમંત્રીશ્રીના અભિનંદન
ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ગૌરવ માટે સોમનાથ યાત્રાધામ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અભિનંદન પાઠવ્યા છે.
આગામી, તા. ૬ સપ્ટેમ્બર-ર૦૧૯ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરાશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન તહેત સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માનદંડો નક્કી કર્યા છે તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યના યાત્રા-પ્રવાસન ધામોને 24x7 સ્વચ્છ-સુઘડ સાફસુથરા રાખવાનું અભિયાન તા. ૧ એપ્રિલ-ર૦૧૭થી રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં હાથ ધરવામાં આવ્યું છે.
આ અન્વયે BVG ઇન્ડીયા લીમીટેડને દ્વારકા, સોમનાથની સ્વચ્છતા સફાઇની કામગીરી સોંપવામાં આવેલી છે. સોમનાથ યાત્રાધામમાં કુલ ૧.૭૪ લાખ સ્કે. મીટર વિસ્તારમાં દરરોજ સ્વછતા – સફાઇની કામગીરી BVG દ્વારા હાથ ધરવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સ્વચ્છતા સફાઇની કામગીરી પણ સફળતાપૂર્વક હાથ ધરાઇ રહી છે.