સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ગુજરાત સરકારે ફૂંકેલા બણગા પોકળ સાબિત થયાં
Publish Date: Tue, 03 Sep 2019 (14:21 IST)
Updated Date: Tue, 03 Sep 2019 (14:23 IST)
એક પહેલા દુનિયાનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ બનાવીને તેની પાસે સ્થાનિક લોકોને રોજગારી આપવાના જે બણગા ગુજરાત સરકાર દ્વારા ફૂંકવામાં આવ્યા હતા, તે દાવા હવે પોકળ સાબિત થઈ રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વસ્તુઓ વેચીને રોજીરોટી રળી રહેલા ગરીબોના લારી-ગલ્લા હટાવી લેવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવનાર છે. આજે સ્ટેચ્યુ પાસે ચા-નાસ્તો વેચનારાઓ હટાવી દેવામાં આવશે.એક વર્ષ પહેલા જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયું હતું, ત્યારે ખુદ પીએમ મોદી દ્વારા સ્થાનિકોને રોજગારી આપવાની વાત પર ભાર મૂક્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદા જિલ્લામાં ટુરિઝમ વધ્યું હતું.
જેથી કેવડિયા, વાઘડિયા, નવગામ, લીમડી ગોરા, બાર ફળિયા વગેરે ગામના લોકો પ્રવાસીઓને ચા-નાસ્તો, ઠંડા પીણા વેચીને ગુજરાન ચલાવે છે. ટુરિઝમ વિકાસથી અંદાજે 300થી વધુ ગરીબ પરિવારોને રોજગારી મળતી થઈ હતી.રોજગારી વધારવા માટે પણ સરકાર દ્વારા વેલી ઓફ ફ્લાવર પાસે નાની-મોટી દુકાનો ફાળવવામાં આવી હતી. હજી રોજગારી મેળવીને એક વર્ષ પણ થયુ નથી ત્યાં આ જગ્યાઓ હટાવી દેવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. નર્મદા નિગમ દ્વારા ગરીબોની હાટડીઓ આજે દૂર કરવામાં આવશે.
જે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક વિસ્તારમાં લારી-ગલ્લા કરી સ્થાનિક ગ્રામજનો રોજગારી મેળવે છે. ત્યારે આજે માલેતુજારોને જગ્યા આપવા માટે ગરીબોના લારી ગલ્લા હટાવાશે. કેવડિયા સહિતના ગ્રામજનોએ પોતાની મહામૂલી જમીનો નર્મદા યોજનામાં ગુમાવી છે ત્યારે માલેતુજારોને અહીંયા કમાણી કરાવવા જગ્યા ખાલી કરાવવા વહીવટીતંત્ર દ્વારા ગરીબોનો ભોગ લેવાશે. ગામ લોકોને સમર્થમાં કેવડિયા કોલોનીનું મુખ્ય બજાર બંધ કરવામાં આવ્યું છે.
webdunia
Publish Date: Tue, 03 Sep 2019 (14:21 IST)
Updated Date: Tue, 03 Sep 2019 (14:23 IST)
આગળનો લેખ