Publish Date: Tue, 04 Aug 2020 (16:50 IST)
Updated Date: Tue, 04 Aug 2020 (16:40 IST)
અયોધ્યામાં આવતી કાલે પાંચ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિપૂજનની વિધી કરશે. ગુજરાતનાં 7 થી 10 જેટલા સંતોને રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે યોજાનાર શિલાન્યાસ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામા આવ્યુ છે. ગુજરાતનાં 7 સંતો આજે અમદાવાદથી અયોધ્યા જવા રવાના થયાં છે. ગુજરાતમાંથી આમંત્રિત સંતોમાં અવિચલ દાસજી - સરસા, આણંદ, પરમાત્માનંદજી - રાજકોટ, કૃષ્ણમનીજી મહારાજ - પ્રણામી સંત સંપ્રદાય, શંભુનાથજી મહારાજ-ઝાંઝરકા, માધવપ્રિયદાસજી - છારોળી ગુરુકુલ અને અખિલેશ્વરદાસજી મહારાજ- અમદાવાદ આજે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા માટે રવાના થયાં છે. આચાર્ય સભા તરફ થી 7 કિલો સોનુ અને ચાંદી અયોધ્યા રામ મંદીર ટ્રસ્ટં ને ભેટ આપવામા આવશે. અવિચલ દાસજીએ જણાવ્યું હતું કે, રામ મંદીર આંદોલન હવે સફળતાં તરફ જઇ રહ્યુ છે. અનેક સંતોને આમંત્રણ મળ્યું છે. અમને પણ આમંત્રણ મળ્યું છે. આ આનંદનો કોઈ પાર નથી. હિન્દૂ સમાજને અપમાનિત કરવા અને નબળો કરવો એ એક ષડયંત્ર હતુ. આઝાદી બાદ પણ આવી સ્થિતિ હતી. હવે સમય બદલાયો છે. હવે અમને એવું લાગે છે કે અમે અમારાં દેશમાં જીવીએ છીએ. પરમાત્મનાથજી સરસ્વતીએ જણાવ્યું હતું કે, રામ ભારતીય સંસ્કૃતિનાં આદર્શ છે. આંદોલનો ઘણા થયાં પણ જ્યાં સુધી રાજકીય ઇચ્છાશક્તિ ન હોય ત્યાં સુધી ન થાય. એ માટે હાલનાં રાજકીય નેતાઓને અભિનંદન. આચાર્ય સભા તરફથી બધાને શુભકામનાઓ. 15મી સદીથી જેમને જેમને ભોગ આપ્યો છે એમને નમન. આચાર્ય સભા તરફથી 7 થી 8 કિલો ચાંદી અને સોનુ આપીશું.