Publish Date: Mon, 27 Jul 2020 (12:53 IST)
Updated Date: Mon, 27 Jul 2020 (12:53 IST)
અયોધ્યામાં રામમંદિરનું 5મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવશે. આ પૂજનમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના 912 મંદિરોની માટી અને જળ એકત્ર કરવામાં આવ્યું છે. ગુજરાતના વિશ્વ હિન્દુ પરિષદના ચાર કાર્યકર્તાઓ દ્વારા 912 તીર્થ સ્થાનોની માટીની ચંદનની ઈંટ અને નદીઓનું પવિત્ર જળ લઈ જવામાં આવશે. મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદના “માટી મારા મંદિરની’ કાર્યક્રમ અંતર્ગત ભારતભરમાંથી તીર્થસ્થાનોની પવિત્ર માટી તથા જળ એકત્રિકરણ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ તમામ પવિત્ર વસ્તુઓ નું આજે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. જ્યાં અખિલેશ દાસજી મહારાજ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, સમગ્ર ગુજરાતમાં પાંચમી ઓગસ્ટના રોજ દિવાળી કરતા પણ ભવ્ય દીપોત્સવ થાય અને ઘંટનાદ પણ થાય. અયોધ્યા ખાતે ભવ્ય રામ લલ્લાના મંદિર નિર્માણમાં ગુજરાતના ચાર કાર્યકર્તાઓ અયોધ્યા જશે. આ કાર્યકર્તાઓમાં ધીરુભાઈ કપુરીયા, રૂપેશભાઈ પંડ્યા, ઘનશ્યામભાઈ ગોંડલીયા અને નવનીતભાઈ ગોહિલનો સમાવેશ કરવામાં આવ્યો છે.દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા રામમંદિર માટે ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો. તેમને એ પણ જણાવ્યું કે પાંચમી ઓગસ્ટના રોજ જગન્નાથ મંદિરમાં દીવા પ્રગટાવી દીપોત્સવ જેવો માહોલ ઉભો કરવામાં આવશે આ સાથે ઘંટ નાદ પણ કરવામાં આવશે.