Publish Date: Thu, 07 Feb 2019 (11:38 IST)
Updated Date: Thu, 07 Feb 2019 (11:39 IST)
જામનગર જીલ્લામાં જોડીયા નજીક દરિયાના પાણીને પીવા લાયક મીઠુ પાણી બનાવવાના દેશના બીજા નંબરના મોટા ડીસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહુર્ત કરવા વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. જેથી પાર્ટીમાં ઉત્સાહનું મોજું અને વહિવટી તંત્રમાં કામગીરીનો ધમધમાટ ચાલુ થયો છે. થોડા સમય પહેલા રાજ્ય સરકારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના કરોડો રૂપિયાના વિશાળ મહત્વાકાંક્ષી પ્રોજેકટનો એક કંપની સાથે સમજુતી કરાર કર્યા બાદ કાયમી પાણીની અછત ધરાવતાં અને નર્મદાના તેમજ સૌની યોજના પર હવે નભવા લાગેલા જામનગર જીલ્લામાં દૈનિક પીવા લાયક ૧૦૦ એમ.એલ.ડી. પાણી જીલ્લાને મળી રહે તેવી વ્યવસ્થા થઈ શકે તેમ છે. જે માટે વિશાળ પ્લાન્ટ રૂા.૪૦૦ કરોડના ખર્ચે નંખાશે. જેનું ખાતમુર્હુત તા.ર૮મી ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. સાથે સાથે જામનગર મહાનગરપાલિકાની તૈયાર બે આવાસ યોજના સહિતના પ્રોજેકટનું પણ લોકાર્પણ થાય તે દીશામાં પ્રક્રિયા ચાલે છે. હાલ આ અંગે સતાવાર જાહેરાત થઈ નથી. પરંતુ મહદઅંશે આ કાર્યક્રમ નિશ્ચિત હોવાનું પાર્ટીના સુત્રો જણાવે છે.