Publish Date: Tue, 25 Feb 2020 (14:54 IST)
Updated Date: Tue, 25 Feb 2020 (14:59 IST)
ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અને ભણે ગુજરાત આગળ વધે ગુજરાતની મોટીમોટી વાત કરવામાં આવે છે. ત્યારે આ તરફ ધોરણ 10ની પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે. પરંતુ એક સરકારી નિર્ણયના લીધે તાલુકાના દેવકીગાલોળ ગામમાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઇ ગયું છે. અહીં ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર 50 કિલોમીટર દૂર આપવામાં આવતા આ વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કારનું વિચારી રહ્યા છે. જો જરૂર જણાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.
અમરેલીના જિલ્લાના જેતપુરના દેવકી ગાલોળ ગામના ધોરણ 10ના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જેતપુર નજીકમાં આસપાસ આવેલા ગામડાના વિદ્યાર્થીઓને પોતાના ગામથી 50 કિમી દૂર જેતપુર શહેરમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. ઘંટીયાળ, રાંધીયા અને ધારી ગુંદાળી વગેરે ગામોના 150 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ વર્ષે તેમને ધોરણ 10ની પરીક્ષા આપવા માટે જેતપુર શહેરમાં કેન્દ્ર આપવામાં આવ્યું છે. પહેલાં તેમને ગામની 10 કિલોમીટર નજીક હોય એવું કેન્દ્ર આપવામાં આવતું હતું પણ નવું કેન્દ્ર 50 કિલોમીટર જેટલું દૂર છે. હવે પરીક્ષાના સવારના સમયે કોઈ ST બસ કે ખાનગી વાહનો મળી શકે એમ ન હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થાય એવી શક્યતા છે. વળી, આ કેન્દ્ર સુધી પહોંચવા માટે 4-4 કલાકનો પ્રવાસ કરવો પડે એમ છે.
150 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે જેમાં 70થી વધુ વિદ્યાર્થીનીઓ છે. પરીક્ષાના બહિષ્કારની ચીમકી આપી રહેલા વિદ્યાર્થીઓ બાબતે શાળાના આચાર્યને પૂછતાં તેમણે પણ વિદ્યાર્થીઓની સમસ્યાને સમર્થન આપ્યું હતું. સરકારની બેદરકારીને લઇને હાલ તો આ 150 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાઇ ગયું છે ત્યારે સરકાર યોગ્ય પગલાં લઇને આ વિદ્યાર્થીઓની સમસ્યા યોગ્ય ઉકેલ લાવે.