Publish Date: Mon, 25 Jun 2018 (15:18 IST)
Updated Date: Mon, 25 Jun 2018 (15:21 IST)
મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઈલ અંગે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે ડોમીસાઈલના નિયમને રદ કરવાનો ઈન્કાર કર્યો છે. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે રાજ્યના ડોમિસાઈલ હોય, એટલે કે નિવાસી હોય તેવા વિદ્યાર્થીઓને 85 ટકા બેઠકો માટે અનામત રાખવા રાજ્ય સરકારે ઘડેલા નિયમને રદ કરવા ગુજરાત હાઈકોર્ટે ઈન્કાર કર્યો છે. ત્યારે આ સમાચાર વિદ્યાર્થીઓ માટે બહુ જ લાભકારી કહી શકાય.
હાઈકોર્ટે કહ્યું કે, ધોરણ 10-12 ગુજરાતમાં કરેલું હોવું જરૂરી અંગે રાજ્ય સરકારે બનાવેલો નિયમ યોગ્ય છે. એડમિશન પ્રક્રિયામાં કાઉન્સિલિગ આજે હોવાથી આજે જ નિર્ણય લેવા સરકારને હાઈકોર્ટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના આ નિયમને રદ કરવા સીબીએસઈના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેમાં માંગ કરાઈ હતી કે ગુજરાત બોર્ડમાં ધોરણ 12 કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશમાં 85 ટકા જેટલા મોટા ક્વોટાનો લાભ આપવાથી તેમના પાલ્ય ગુજરાતના નિવાસી હોવા છતાં મોટો ગેરલાભ થાય છે. આથી આ કાયદો રદ કરવો જોઈએ.
ડોમિસાઈલ અંગે હઈકોર્ટના ચુકાદા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, એક પરિવાર બહુ જ મહેનત કરીને સંતાનને ડોક્ટર બનાવે છે. આવા પરિવાર અને વિદ્યાર્થીઓ માટે આ એક સારા સમાચાર છે. ગુજરાતમાં શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓને એડમિશન નહોતા મળતા. દેશના અન્ય વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય તેનો અલગ ક્વોટા છે. 1-2 માર્ક માટે ગુજરાતના વિદ્યાર્થીઓ એડમિશન નહોતા લઈ શક્તા. નિષ્ણાતોનો અભિપ્રાય મેળવી આરોગ્ય વિભાગમાંથી કાયદો સુધાર્યો છે. મેડિકલ કોલેજમાં ગુજરાતના ડોમિસાઈલ વિદ્યાર્થીઓ ભણી શકશે. ગુજરાતમાં ધો.10 અને 12 કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ ભણી શકશે. ગુજરાત HCએ સરકારના કાયદાને માન્ય રાખ્યો છે. સેંકડો વિદ્યાર્થીઓને થોડા માર્ક માટે એડમિશન નહોતા મળતા. હવે ગુજરાતના વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો મેડિકલમાં પ્રવેશ પ્રાપ્ત થશે.