ગુજરાતભરમાં વધતી ખનીજ ચોરીને રોકવા માટે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગરના ચોટીલા વિસ્તારમાં કાર્યવાહી બાદ હવે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર ખનન સામે તવાઈ બોલાવવામાં આવી છે. રાજકોટ રેન્જના આઇજી નિરલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકામાં ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખનીજ ચોરી અને રેતીના વહન અંગે ફરિયાદો મળી રહી હતી. જેને પગલે પોલીસ ટીમે બાતમીના આધારે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન રેતી ભરેલા ત્રણ ડમ્પર સહિત અનેક વાહનો ઝડપાયા હતા, જે ગેરકાયદેસર રીતે ખનીજનું પરિવહન કરી રહ્યા હતા.
પોલીસે દરોડા દરમિયાન અંદાજે 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનો અને સાધનો ખનીજ માફિયાઓ માટે મોટો આર્થિક ફટકો માનવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા ખાણ-ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આઇજી નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહીને કારણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન અને સરકારી સંપત્તિની ચોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.
સ્થાનિક લોકોમાં પણ પોલીસની આ કામગીરીને લઈને સંતોષની લાગણી જોવા મળી રહી છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.