સુરેન્દ્રનગર પોલીસ દ્વારા એક સંવેદનશીલ અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. આર્થિક સંકટમાં સપડાયેલી એક મહિલાને પોલીસની સતર્કતા અને માનવીય અભિગમના કારણે તેમના કિંમતી સોનાના દાગીના પરત મળ્યા છે.
મળતી માહિતી અનુસાર, મહિલા અરજદાર કિંજલબેન નંદીયાણિયાએ પોતાની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સોનાના દાગીના એક ફાયનાન્સ કંપનીમાં ગીરવે મૂક્યા હતા અને તેના બદલામાં શરાફી વ્યાજે રૂ. 1.21 લાખની લોન લીધી હતી. પરંતુ સમય જતાં તેમની આર્થિક સ્થિતિ નબળી બનતાં તેઓ વ્યાજની રકમ ચૂકવવામાં અસમર્થ બન્યા હતા. જેના કારણે પોતાના ઘરેણાં ગુમાવવાની ભીતિ ઉભી થઈ હતી.
આ સંજોગોમાં કિંજલબેને પ્રેમસુખ ડેલુનો સંપર્ક કરી રજૂઆત કરી હતી. મહિલાની વ્યથા સાંભળ્યા બાદ એસપીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
પોલીસની દરમિયાનગીરી અને સક્રિય કામગીરીના પરિણામે ફાયનાન્સ કંપનીમાંથી આશરે રૂ. 4.50 લાખ કિંમતના સોનાના દાગીના છોડાવવામાં સફળતા મળી હતી. બાદમાં પોલીસ મથકે કિંજલબેન અને તેમના પરિવારજનોને બોલાવી સન્માનપૂર્વક દાગીના પરત સોંપવામાં આવ્યા હતા.
આ સમગ્ર કામગીરીમાં B-Division Police Station ના PI, PSI તેમજ પોલીસ સ્ટાફે ઝડપભેર કાર્યવાહી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.