Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં જળભરાવથી પરેશાન નાગરિકો માટે રાહત: અમિત શાહના પત્ર બાદ AMC એક્શનમાં, માસ્ટર પ્લાન તૈયાર

Ahmedabad waterlogging
Ahmedabad waterlogging


અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં દર ચોમાસે સર્જાતી જળભરાવની ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તેના કાયમી ઉકેલ માટે મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આંબલી, બોપલ, ઘુમા અને શેલા જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની હાલાકી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગંભીર નોંધ લીધી છે. તેમણે આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને નાગરિકોને પડતી મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવા અને કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા સ્પષ્ટ સૂચના આપી છે.

 AMC દ્વારા હાઇડ્રોલોજિકલ સર્વે અને માસ્ટર પ્લાનની તૈયારી

કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચના મળતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન હાઇડ્રોલોજિકલ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેના નિષ્કર્ષોના આધારે વરસાદી પાણીના યોગ્ય અને ઝડપી નિકાલ માટે એક વિશેષ 'સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન' તૈયાર કરવામાં આવ્યો છે, જે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
 

ડ્રેનેજ નેટવર્કનું મજબૂતીકરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ

આ માસ્ટર પ્લાન હેઠળ હાલના ડ્રેનેજ નેટવર્કની ક્ષમતા અને કનેક્ટિવિટીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તે અનુસાર નવું ડ્રેનેજ નેટવર્ક તૈયાર કરવા તેમજ અલગ-અલગ વિસ્તારોની લાઇનનું ઇન્ટર-કનેક્શન કરવાની યોજના ઘડવામાં આવી છે. આ ઉપરાંત, વારંવાર પાણી ભરાતા વોટર-લોગિંગ સ્પોટ્સને ઓળખીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ ન રહે અને પાણીનો પ્રવાહ સીધો વહી જાય તે માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.

ગોતા-ગોધાવી કેનાલ, સાબરમતી નદી અને કાયમી ઉકેલની આશા

યોજનાના મુખ્ય ભાગરૂપે વરસાદી પાણીના નિકાલને ગોતા–ગોધાવી કેનાલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જ્યારે અન્ય જરૂરી સ્થળોએથી પાણીનો પ્રવાહ સાબરમતી નદી સુધી પહોંચાડવાનું આયોજન છે. આ પગલાં અમલમાં આવ્યા બાદ આંબલી, બોપલ, ઘુમા અને શેલાના રહીશોને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાંથી મોટી રાહત મળવાની આશા છે. હવે માસ્ટર પ્લાનના તબક્કાવાર અમલીકરણ પર નજર રખાશે જેથી દર ચોમાસે સર્જાતી આ મુશ્કેલીનો કાયમી ઉકેલ આવી શકે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાલતુ પીટ બુલ્સ ખતરનાક છે, ભાડા માટે ઘર શોધી રહેલા પટિયાલામાં દંપતી પર હુમલો