Publish Date: Sun, 29 Sep 2024 (09:39 IST)
Updated Date: Sun, 29 Sep 2024 (09:46 IST)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાદરમાં શનિવારે મોડી સાંજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સહિત સાત લોકોના મોત થયા હતા.
મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે, જેમને ખંભાળિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોડ પર એકાએક પશુ આવી જવાને કારણે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને ડિવાઈડર ઓળંગીને સામેથી આવતા ત્રણ વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસ સાથે બે કાર અને એક બાઇક અથડાયા હતા.
દ્વારકા-ખંભાળિયા હાઈવે પર દ્વારકાથી 6 કિલોમીટર દૂર આવેલા બરડીયા ગામ પાસે શનિવારે રાત્રે 8 વાગ્યાના સુમારે એક ખાનગી ટ્રાવેલ એજન્સીની બસ રસ્તા પર એક પ્રાણી આવી જતાં અસંતુલિત બની હતી. ડ્રાઈવરે બસને ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બસ ડિવાઈડર ઓળંગીને સામેથી આવતી બે કાર અને એક બાઇક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં અલગ-અલગ વાહનોમાં મુસાફરી કરી રહેલા 7 લોકોના મોત થયા હતા. જેમાંથી 5 લોકો એક જ પરિવારના છે. મૃતકોમાં હેતલબેન ઠાકોર (28), પ્રિયાંશી ઠાકોર (18), તાન્યા ઠાકોર (3), રિયાજી ઠાકોર (2), વિરેન ઠાકોર, ચિરાગ બારિયા (26) અને અન્ય એક અજાણી મહિલાનો સમાવેશ થાય છે. ઘટનામાં મૃતક પાંચ લોકો ગાંધીનગર જિલ્લાના પલસાણા કલોલ ગામના રહેવાસી હોવાનું કહેવાય છે.