Publish Date: Mon, 04 Dec 2017 (12:02 IST)
Updated Date: Mon, 04 Dec 2017 (12:08 IST)
રાજકોટમાં શનિવારે રાત્રે એક બનેરના પ્રશ્ને કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરૂ પર હૂમલો થયા બાદ પરિસ્થિતિ વધુ તંગ બની હતી. ત્યાર બાદ રવિવારે રાજકોટમાં બંને પક્ષોના શક્તિપ્રદર્શનનો લ્હાવો શહેરીજનોને મળ્યો હતો. એક તરફ ભાજપ તો બીજી તરફ કોંગ્રેસ બંને પક્ષોમાં હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં રાજકીય પંડિતોને પણ કોણ જીતી શકે એના ગણિત મેળવવામાં વાંધા પડી રહ્યાં છે. સૌરાષ્ટ્ર રાજકારણના એપી સેન્ટર રાજકોટમાં રવિવારે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ એક પછી એક સમાંતર જાહેરસભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું.
સાંજે કોંગ્રેસના ચારેય ઉમેદવારોની સંયુક્ત સભા ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં યોજાઈ હતી. સભા પૂરી થઈ કે તરત નાનામવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા ભારતીય જનતા પાર્ટીએ યોજી હતી. બન્ને પક્ષોએ એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બન્ને પક્ષો પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે અને તેને કારણે રાજકોટનું રાજકારણ ગરમી પકડી રહ્યું છે. બન્ને સભાઓથી મતદારો પર શું અસર થશે તેના તર્ક વિતર્ક ચાલુ થઈ ગયા છે. રાજકીય પંડિતો બન્ને સભાના સૂચિતાર્થો કાઢવામાં વ્યસ્ત થઈ ગયા છે. ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલી કોંગ્રેસની સભામાં જંગી જમમેદની ઉમટી પડી હતી. તો નાના મવા સર્કલ પાસેના મેદાનમાં યોજાયેલી મોદીની સભામાં પણ જંગી મેદની એકત્ર થઈ હતી અને મેદાન ટૂંકું પડ્યું હતું. મેદાન ટૂંકું પડતા રસ્તા પર લગાવેલી સ્ક્રીનમાં લોકોએ મોદીની સભા નિહાળી હતી. આમ બન્નેની સભામાં જંગી જનમેદની થતા પ્રતિષ્ઠાભર્યો જંગ રહ્યો હોય તેમ ભાજપ-કોંગ્રેસમાં ચર્ચા થઇ રહી હતી.
webdunia
Publish Date: Mon, 04 Dec 2017 (12:02 IST)
Updated Date: Mon, 04 Dec 2017 (12:08 IST)