Publish Date: Tue, 12 Dec 2017 (13:14 IST)
Updated Date: Tue, 12 Dec 2017 (13:15 IST)
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની તા. ૧૪મી ડિસેમ્બરને ગુરુવારે યોજાનારી ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૯ જિલ્લાની ૯૩ બેઠકોની ચૂંટણી પ્રચારના પડઘમ આવતીકાલે તા. ૧૨મી ડિસેમ્બરને મંગળવારે સાંજના ૫ વાગ્યાથી શાંત પડી જશે. રાજકીય પક્ષોની જાહેર સભા કે રેલીઓ યોજી શકાશે નહીં. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે પ્રચારયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું. મોદીએ સોમવારે પાટણ, નડિયાદ અને અમદાવાદ ખાતે જનમેદનીને સંબોધન કરીને મતદારોને રિઝવવાના પ્રયાસો કર્યા હતા.
જ્યારે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે થરાદ, વિરમગામ, ગાંધીનગર અને પાદરા નજીક જનસભાને સંબોધીને ભાજપ સામે પ્રહારો કર્યા હતા. ભાજપ કૉંગ્રેસના પ્રદેશ નેતાઓ પણ સોમવારે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મંગળવારે સાંજના પાંચ વાગ્યાની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જવાના હોવાથી મંગળવારે સાંજના પાંચ વાગ્યા પહેલા અમદાવાદમાં મોદી અને રાહુલ ગાંધીના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪મીને ગુરુવારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારે ૮થી ૫ દરમિયાન મતદાન યોજાશે. ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.