Publish Date: Wed, 03 Jun 2020 (14:38 IST)
Updated Date: Wed, 03 Jun 2020 (14:39 IST)
પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી સારવાર લઇ રહ્યો હતો. દરમિયાન તેનું આજે મોત નિપજતાં તેના મૃતદેહને અંતિમવિધિ માટે સ્મશાન ખાતે લઈ જવાયો હતો. જો કે સ્મશાન બંધ હોઇ અને દરવાજો ખોલવા માટે કોઈ તૈયાર ન હોવાથી નાયબ મામલતદાર,આરોગ્ય તેમજ પોલીસના જવાનોને મૃતદેહ સાથે સ્મશાનના દરવાજાની બહાર જ તાળું ખોલવાની રાહ જોઈ બેસી રહેવું પડ્યું હતું અને બે કલાક જેટલા સમય સુધી મૃતદેહ રઝળ્યો હતો. બાદમાં મૃતકના અગ્નિ સંસ્કાર કરાયા હતા. સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન જાણે માનવતા પણ મરી પરવારી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સ્મશાનમાં પણ અંતિમવિધિ કરવા માટે આનાકાની કરવામાં આવી રહી હોવાની રાવ ઉઠવા પામી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મૂળ સંચોરના અને હાલ વ્યવસાય અર્થે પાલનપુર રહેતો યુવક કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર લઇ રહ્યો હતો. જેના મોત બાદ આજે સ્મશાન ખાતે અંતિમવિધિ માટે લઇ જવામાં આવ્યો હતો.જોકે ત્યાં તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે પણ રઝળ્યો હતી. આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના સાચોર નો વતની અને પાલનપુરમાં ધંધાર્થે રહેતા આ વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને તેનો રિપોર્ટ પણ હજુ સુધી આવવાનો બાકી છે. ત્યારે સારવાર દરમિયાન તેનું આજે મોત નિપજતાં મૃતકને અંતિમ વિધિ માટે પાલનપુરના ગોબરીરોડ સ્થિત સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે સ્મશાનના દરવાજાને તાળુ મારેલ હોઇ આ બાબતે જવાબદાર લોકોને જાણ કરવા છતાં કોરોનાના ફફડાટ વચ્ચે દરવાજાનું તાળું ખોલવામા ના આવતા આરોગ્ય તેમજ પોલીસ કર્મીઓએ મૃતદેહ સાથે જ દરવાજાની બહાર બે કલાક સુધી રાહ જોવી પડી હતી.