Publish Date: Tue, 02 Jun 2020 (16:10 IST)
Updated Date: Tue, 02 Jun 2020 (16:11 IST)
ગુજરાત NCPના પ્રમુખ પદેથી એકાએક શંકરસિંહ વાઘેલાને દૂર કરી જંયત બોસ્કીને ફરીવાર પ્રમુખ બનાવતા અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે, શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજકીય કોરાણે મૂકાયા છે. તેમની પાછળ તેમનો પોતાનો સ્વાર્થ મનાઇ રહ્યો છે. કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ NCPનો છેડો પકડનારા શંકરસિંહ વાઘેલા હંમેશા પાર્ટીથી અળગા રહ્યા હતા. લૉકડાઉન હોય કે પછી અન્ય કોઇ પણ કાર્યક્રમ, તેઓ હંમેશ માટે પૂર્વ મુખ્યમંત્રી તરીકે પોતાને ઓળખાવતા રહ્યા છે. હવે એકા એક પાર્ટી પ્રમુખ તરીકે પક્ષે તેઓને દૂર કરી શંકરસિંહ વાઘેલાને એક સંકેત આપ્યો હોવાનું મનાય છે. શંકરસિંહ વાઘેલાના વિરોધીઓ માને છે કે, બાપુએ પાર્ટીમાં રહી પાર્ટી માટે નહી પરંતુ પોતાના સ્વાર્થ સાથે કામ કર્યું છે. પાર્ટી પ્રમુખના કાર્યકાળમાં બાપુએ ક્યારે પાર્ટીના બેનરનો ઉપયોગ નથી કર્યો. પાર્ટીએ શંકરસિંહ વાઘેલાનો ત્યારે હાથ પકડ્યો હતો જ્યારે તેઓએ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. પાર્ટીને અપેક્ષા હતી કે એક મોટા ચહેરાને પક્ષમાં લાવવાથી પાર્ટીને ફાયદો થશે પરંતુ બાપુએ પાર્ટી માટે કઇ નવું ન કરતા આખરે પાર્ટીએ તેમના સ્થાને ગુજરાતમાં ફરી એકવાર જંયત બોસ્કીને પ્રમુખની કમાન સોંપીને બાપુને જવાબ આપ્યો છે.
webdunia
Publish Date: Tue, 02 Jun 2020 (16:10 IST)
Updated Date: Tue, 02 Jun 2020 (16:11 IST)