Publish Date: Tue, 05 May 2020 (14:00 IST)
Updated Date: Tue, 05 May 2020 (14:02 IST)
અમદાવાદમાં કોરોનાના 259 નવા કેસ અને 26 દર્દીના મોત થયા છે. તેમજ 80 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કુલ દર્દીઓ 4076 અને મૃત્યુઆંક 234 થયો છે. તેમજ 620 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. આજે હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોર્ડમાં એક સાથે 21થી વધારે શાકભાજીના ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જેને પગલે ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે હરિપુરા પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને ક્વોરન્ટીન કરીને બસો મારફતે લઈ જવા તજવીજ હાથ ધરી હતી. ત્યાર બાદ સેનેટાઈઝ કરીને બેરિકેડ મુકી આખા વિસ્તારનો બ્લોક કરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે નાગરિકોને ઘર ન નીકળવાની સૂચનાઓ પણ આપી હતી. શહેરમાં એકતરફ લોકડાઉન છે. તેમજ પોલીસે ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં જવા પર પ્રતિબંધ મુક્યો છે. માત્ર સુભાષબ્રિજ અને એલિસબ્રિજ જ ચાલુ છે ત્યારે આજે સવારે સુભાષબ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો છે. મોટી સંખ્યામાં વાહનોનો કાફલો સુભાષબ્રિજ પાસે ખડકાયો હતો. ટુ વહીલર પર એક જ વ્યક્તિ અને ફોર વહીલરમાં બે વ્યક્તિ જ જઇ શકે છે જેથી પોલીસ લોકોને ચેક કરીને જ જવા દઈ રહ્યા છે. માત્ર આવશક્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા લોકો અને સરકારી કર્મચારી જ રેડઝોનમાં જઇ શકે છે. એકમાત્ર બ્રિજ ચાલુ હોવાથી મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા હતા.