Publish Date: Wed, 17 Mar 2021 (08:17 IST)
Updated Date: Wed, 17 Mar 2021 (08:21 IST)
1995 મા સ્પષ્ટ બહુમતી બાદ ફરી 26 વર્ષ બાદ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સભાળ્યું છે. આ 26 વર્ષ દરમ્યાન 2010 થી 2015 દરમ્યાન ભાજપા અને બિટીપીના ગઠબંધન થકી ભાજપાના પ્રમુખ મનહર ગોહિલ અને ઉપપ્રમુખ અનિલભાઈ ભગત બીટીપી માંથી સત્તા પર બેઠા હતા.
ત્યારે 26 વર્ષ બાદ ફરી એક વાર જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં ભારતિય જનતા પાર્ટી દ્વારા સ્પષ્ટ બહુમતી સાથે ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 માં ભરૂચ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ફૂલ 27 બેઠકો ઉપર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 3 અને કોંગ્રેસના ફાળે ફક્ત 4 બેઠકો આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે મેન્ડેડ જાહેર કરાતા અલ્પાબેન કમલેશભાઈ પટેલ, જંબુસરના કહાનવા બેઠક પરથી વિજેતા થયેલ જેમને પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું છે. જ્યારે ભરતભાઇ નાગજીભાઈ પટેલ જેઓ અંકલેશ્વર તાલુકાની દીવા 8 બેઠક પરથી વિજેતા થયેલ જે ઉપપ્રમુખ માટેનું ફોર્મ ભર્યું છે.
ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની આગેવાનીમાં બંને ઉમેદવારો એ પ્રમુખ ઉપપ્રમુખ ની દાવેદારી નોંધાવી હતી. આ પ્રસંગે મહામંત્રી નિરલભાઈ પટેલ, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી, ભોલાવ બેઠકના વિજેતા ઉમેદવાર ધર્મેશભાઈ મિસ્ત્રી, જંબુસર માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવારો, જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.