Publish Date: Tue, 25 Jun 2024 (19:42 IST)
Updated Date: Tue, 25 Jun 2024 (17:44 IST)
NSUI પ્રમુખના અપહરણ અને મારામારીના કેસમાં ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના 11 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગણેશ સહિત પાંચ આરોપીઓએ જેલમુક્ત થવા માટે કરેલી જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. 30 મેના રોજ જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે જૂનાગઢમાં વાહન ચલાવવા જેવી મામૂલી બાબતે ગણેશ જાડેજા અને તેની સાથે રહેલા શખ્સોએ સંજય સાથે મારામારી કરી હતી અને તેનું અપહરણ કરી ગોંડલ લઈ ગયા હતા. આ મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ સામે અપહરણ, મારામારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પોલીસે તમામ 11 આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓના જામીન નામંજૂર
અપહરણ, મારમારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતના ગુનામાં ઝડપાયેલા ગણેશ જાડેજા ઉપરાંત જયપાલસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ, દિગપાલસિંહ, પૃથ્વીરાજસિંહ દ્વારા જામીન પર મુક્ત થવા માટે જૂનાગઢ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેના પર બંને પક્ષોની દલીલો બાદ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ મામલે ફરિયાદીના વકીલ દિનેશ પાતરે જણાવ્યું હતું કે, આજે જુનાગઢ નામદાર કોર્ટ દ્વારા ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આ કેસ મામલે ગણેશ જાડેજાના મળતીયાઓ વિરુદ્ધ અગાઉ જે એફઆઇઆર નોંધાયેલી હતી તે વિશે સોગંદનામુ રજૂ કરી કોર્ટને માહિતગાર કરવામાં આવી હતી.
કોર્ટને લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા
ગોંડલ વિસ્તારના લોકોમાં આ ટોળકીનો આંતક ખૂબ જ હોવાની બાબતે પણ કોર્ટને લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.આરોપી ગણેશ જાડેજાના માતા હાલના ધારાસભ્ય છે અને પિતા પૂર્વ ધારાસભ્ય છે જે વગના કારણે આ કેસમાં કોઈ ખોટી ખલેલ ઊભી ન થાય તે માટે પણ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમજ આ કેસમાં જુનાગઢ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેનું સોગંદનામુ પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ બધી બાબતોને ધ્યાને લઈ ગણેશ જાડેજા સહિતના પાંચ આરોપીઓના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે.
webdunia
Publish Date: Tue, 25 Jun 2024 (19:42 IST)
Updated Date: Tue, 25 Jun 2024 (17:44 IST)