Publish Date: Fri, 10 Sep 2021 (10:59 IST)
Updated Date: Fri, 10 Sep 2021 (11:13 IST)
કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સિંગલ ડોઝની વેક્સીન ટૂંક સમયમાં જ હવે પ્રાપ્ત થઈ જશે. આ વેક્સીન આગામી મહિનાથી દેશમાં ઉપલબ્ધ થશે. જાણવા મળ્યું છે કે આવતા અઠવાડિયે વેક્સીનની પ્રથમ બેચ પરીક્ષણ માટે કસૌલીની સેન્ટ્રલ લેબોરેટરીમાં પહોંચશે.
જોનસન એન્ડ જોનસન ફાર્મા કંપનીએ આ સિંગલ ડોઝ વેક્સીન તૈયાર કરી છે. તાજેતરમાં કંપનીને ભારત સરકાર તરફથી ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી મળી ચુકી છે. હાલમાં કંપનીને વેક્સીનની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિક ઇ સાથે કરાર હેઠળ, આગામી દિવસોમાં તેનું ઘરેલુ ઉત્પાદન પણ શરૂ થઈ જશે.
ઘરેલું ઉત્પાદન માટે ફરી લેવી પડશે મંજુરી
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જોનસ એન્ડ જોનસનને ઘરેલું ઉત્પાદન માટે ફરીથી મંજુરી મેળવવી પડશે. આ વેક્સીનનો એક ડોઝ પુરતો છે અને આ રસીની પ્રથમ બેચ આગામી એક સપ્તાહની અંદર ગમે ત્યારે ભારત આવી શકે છે. બતાવાયુ છે કે તાજેતરમાં પુણે સ્થિત લેબને પણ વેક્સીન ચકાસણી માટે માન્યતા મળી છે. આ સુવિધા દેશમાં ત્રણ લેબમાં ઉપલબ્ધ છે.
શાળા ખોલવા માટે બાળકોનું રસીકરણ જરૂરી નથી
નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે જણાવ્યું હતું કે શાળા ખોલવા માટે બાળકોનું વેક્સીનેશન જરૂરી નથી. દુનિયાના બીજા કોઈ દેશમાં આવું થયું નથી. શાળા ખોલવાને લઈને કોઈ શરત નથી. બાળકોના સ્થાન પર શાળાના સ્ટાફનુ વેક્સીનેશન થવુ જરૂરી છે.