Publish Date: Tue, 08 Feb 2022 (17:43 IST)
Updated Date: Tue, 08 Feb 2022 (17:46 IST)
કર્ણાટકના સ્કુલ અને કોલેજોમાં હિજાબનો મુદ્દો ગરમાતો જઈ રહ્યો છે. મંગળવારે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ રાજ્યની બધી શાળા કોલેજો ને આગામી ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ મામલાથી સંબંધિત બધા લોકો સાથે સહયોગ કરવાનો અનુરોધ કર્યો છે.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, કર્ણાટકના મુખ્યમંત્રીએ રાજ્યની તમામ હાઈસ્કૂલ અને કોલેજોને આગામી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ રાજ્યમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટે પણ સુનાવણી શરૂ કરી દીધી છે. બીજી તરફ, રાજ્યમાં એક કોલેજ કેમ્પસની બહાર હિજાબ અને કેસરી શાલ પહેરેલા વિદ્યાર્થીઓ વચ્ચે વિરોધ શરૂ થયો છે. દરમિયાન, રાજ્યના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ રાજ્યના ઘણા ભાગોમાં કોલેજોમાં હિજાબ પહેરવાની તરફેણમાં અને વિરોધમાં તીવ્ર વિરોધ વચ્ચે શાંતિ જાળવવા તમામ પક્ષોને અપીલ કરી હતી.
તેમણે એમ પણ કહ્યું કે કોઈએ પોલીસને બળપ્રયોગ કરવા દબાણ ન કરવું જોઈએ. ગૃહ પ્રધાનની ચેતવણી ઉડુપી, શિવમોગા, બાગલકોટ અને રાજ્યના અન્ય ભાગોમાં સ્થિત શૈક્ષણિક સંસ્થાઓમાં વધતા તણાવ વચ્ચે પોલીસ અને વહીવટીતંત્રને હસ્તક્ષેપ કરવો પડ્યો.
કર્ણાટકમાં હિજાબને લઈને વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઉડુપીમાં કેટલીક વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા બદલ ક્લાસમાં એંટ્રી ન આપવામાં આવી. કોલેજે કહ્યું કે જો અહીં યુનિફોર્મ લાગુ છે તો અલગ ડ્રેસ પહેરીને આવનાર લોકોને કોલેજમાં બેસવા દેવામાં આવશે નહીં.