Publish Date: Fri, 17 Sep 2021 (10:50 IST)
Updated Date: Fri, 17 Sep 2021 (11:07 IST)
જામનગર શહેર-જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્તોની મુલાકાતે ગુરૂવારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લીધી હતી. સ્થળ નિરીક્ષણ અને અસરગ્રસ્તો સાથે ચર્ચા બાદ તંત્ર અને સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે તારાજી સર્જાઇ હોવાનું જણાવી કલેકટરને આવેદનપત્ર પાઠવી સહાય ચૂકવવા માંગણી કરી હતી.
આ તકે તેમણે નવા મંત્રીમંડળ અંગે જણાવ્યું હતું કે, ભાજપ જે રીતે ગુજરાતમાં કામ કરી રહી છે અને નો રીપીટ થિયરીના નામે મંત્રીના પતા કાપ્યા છે. નિતિનભાઇ સહિતના મંત્રીઓ સાથ આપવા માંગતા હોય તો વિપક્ષ કોંગ્રેસના દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે ભાજપ પાસે હવે નેતા રહ્યા નથી આથી ગુજરાતની જનતા ભાજપને ઘરભેગી કરશે તેમ જણાવ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, મુખ્યમંત્રી બદલવાની પાછળ કોરોનાના કાળ દરમિયાન સરકારના કામકાજ અને બેકારી મોટું કારણ છે. ભાજપે ઈન્ટરનલ સર્વે કરાવ્યો હતો, જેમાં વિજય રૂપાણીને લઈને પ્રજાની નારાજગી સામે આવી હતી. 2017માં પણ કંઈક આવો જ માહોલ હતો. વોટ બીજાના નામે જ મળે છે અને CM કોઈ બીજો જ બની જાય છે. આ માત્ર જનતાને ભ્રમમાં નાંખવાની જ વાત છે. જેને અહીંની જનતા સમજી ગઈ છે અને આ વખતે લોકોએ નક્કી જ કર્યું છે કે માત્ર CM જ નહીં સરકાર પણ બદલવી છે.