Publish Date: Mon, 22 Mar 2021 (09:38 IST)
Updated Date: Mon, 22 Mar 2021 (09:39 IST)
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણ વધતાં તેની અસર ફ્લાઇટના મુસાફરો પર પણ પડી છે. છેલ્લા પાંચ દિવસથી અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટમાં અવર-જવર કરતાં મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલની સ્થિતિમાં ખૂબ જ અગત્યનું કામ હોય તેવા લોકો જ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેના પગલે અમદાવાદ એરપોર્ટ ખતો ફ્લાઇટમાં 80 ટકાએ પહોંચેલા પેસેન્જનર લોડ ફેક્ટરનો ગ્રાફ સીધો 50 ટકાની અંદર આવી ગયો છે. બપોરના સમયે તો ટર્મિનલ સાવ ખાલીખમ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના કેસમાં ઘટાડો થવાને પગલે લોકોમાં ડર ઓછો થઇ જતાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં ધીરે-ધીરે વધારો થઇ રહ્યો હતો.પેસેન્જર લોડ ફેક્ટર 80થી 85 ટકા પહોંચી જતાં ઈન્ડિગો અને સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા અનેક નવા ડોમેસ્ટિક સેક્ટરની ફ્લાઇટ પણ શરૂ કરી દેવાઇ હતી. પરંતુ કોરોનાના કેસમાં વધારો થતાં છેલ્લા પાંચ દિવસથી અમદાવાદના ડોમેસ્ટિક સેક્ટરની ફ્લાઇટમાં મુસાફરોનો લોડ ફેક્ટર 50 ટકા કરતાં પણ ઓછો થઇ ગયો છે. ગુજરાતથી મહારાષ્ટ્ર-રાજસ્થાન જનારા મુસાફરો માટે ટેસ્ટ ફરજીયાત છે. જેના કારણે મહારાષ્ટ્ર જનારા મુસાફરોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.