Publish Date: Tue, 23 Mar 2021 (10:11 IST)
Updated Date: Tue, 23 Mar 2021 (10:12 IST)
મથુરા: મોરારીબાપુ દ્રારા વૃંદાવનના પુંડરીક આશ્રમમાં 20 માર્ચથી 28 માર્ચ સુધી રામચરિતમાનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારીબાપુની કુલ કથા સંખ્યાની આ 857મી કથા છે. તેમના વ્યાસાસનમાં મથુરા, વૃંદાવનમાં ગવાતી આ નવમી કથા છે. બાપુએ પોતાની 14 વર્ષની ઉંમરથી રામકથાનો આરંભ કર્યો હતો. છ દાયકાથી પણ વધુ સમયથી વિશ્વના અનેક દેશોમાં પોતાના મુખેથી રામકથા કરી છે. બાપુનો શ્રીકૃષ્ણ પ્રત્યે પહેલેથી જ ખૂબ જ ઉંડો ભાવ રહ્યો છે.
રામકથા કહેતાં કહેતાં તેઓ કૃષ્ણ કથામાં સહજતાથી ઉતરી જાય છે. પછી શ્રીકૃષ્ણ કથામાંથી બહાર નીકળવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. આહ્લાદક અને અશ્રુઓથી ભીંજાયેલી તેમની કૃષ્ણ કથા સાંભળવી પણ એક પરમ સૌભાગ્ય છે. બાપુ નિંબાર્કીય પરંપરાથી છે, આથી શ્રીકૃષ્ણ પ્રત્યે તેમને સહજ પ્રીતિ સ્વાભાવિક છે. આજથી નવ દિવસ સુધી સૌ બાપુના સત્સંગ સરિતામાં ભક્તિરસથી તરબોળ થશે.
સ્વામી કાર્ષ્ણિ ગુરૂ શરણાનંદજી મહારાજના પાવન સાનિધ્યમાં પુંડરીક ગોસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં, પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં, કોરોનાના પ્રોટોકોલને અનુરૂપ મર્યાદિત સંખ્યાના શ્રોતાગણની વચ્ચે રામકથાનું મંગલાચરણ થશે. શરૂઆતમાં પુંડરીકજીને પોતાની પાવન પરંપરાના મહાપુરૂષોને હૃદયમાં રાખતાં બાપુ પ્રત્યે પોતાનો અનોખો ભાવ પ્રદર્શિત કર્યો. એવું તમે કહ્યું, 1993માં ગુરૂદેવ મહુવા ગયાં હતાં અને દક્ષિણામાં બાપુની કથા લઇને આવ્યાં હતાં.
આ પ્રસંગનું પાવન સંસ્મરણ કરી ને, તેમનું અનુસરણ કરતાં બાપુની કથાનું સમાયોજન કર્યું છે. તેમનાં ગુરૂદેવ અને પિતાશ્રીના તે વખતનાં આશીર્વાદક અમૃત વચનોને ધ્વનિયંત્ર માધ્યમ દ્વારા વિનમ્રતાથી આજે ફરીથી સંભળાવ્યાં. આ દરમિયાન કાર્ષ્ણિ ગુરૂ સ્વામી શરણાનંદજીએ પૂર્વવત્ પોતાનો પ્રેમ-યોગ બાપુ પ્રત્યે પ્રકટ કર્યો. વક્તા અને શ્રોતાની પૂરી પંરપરાને વંદન કરતાં તેમણે પોતાના આશીર્વાદની વર્ષા કરી.
કથાના પ્રારંભમાં પૂજ્ય બાપુએ કહ્યું, હું આ કથા પાંચ દાદાઓની અનુકંપા અને આશીવાર્દની સાથે શરૂ કરી રહ્યો છું. બાપુએ કહ્યું કે વૃંદાવન પ્રેમ આપે છે. જો વૃંદાવન પ્રેમ ન આપે તો વૃંદાવન વૃંદાવન નથી. અયોધ્યા સત્ય ન આપે તો અયોધ્યા અયોધ્યા નથી.અને કૈલાશ કરૂણા ન આપે તો કૈલાશ કૈલાશ નથી આ મારી ત્રિવેણી છે. પહેલા દિવસની કથાની પરંપરા નિભાવતા બાપુએ રામચરિતમાનસનો મહિમા ગાયો તેની સાથે જ બાપુએ પહેલા દિવસની કથાને વિરામ આપ્યો.
વૃંદાવનમાં છટીકરા રોડ પર આવેલ વૈજંતી આશ્રમ, પુંડરીક આશ્રમમાં 20 માર્ચ સાંજે 4 થી 7 વાગ્યા સુધી અને 21 થી 28 માર્ચ સુધી સવારે 9 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી કથા થશે. આસ્થા ચેનલ અને ચિત્રકૂટ ધામ-તાલગાજરડાના યુટ્યુબના માધ્યમથી કથાપ્રેમી આ રામકથા સાંભળી શકાશે.