Publish Date: Sat, 25 Apr 2020 (12:40 IST)
Updated Date: Sat, 25 Apr 2020 (14:41 IST)
લૉકડાઉનની સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાં આવતા 66 લાખ પરિવારોના ખાતામાં રૂ. એક હજાર નાખવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આગામી સોમવાર સુધીમાં 50 લાખ પરિવારના ખાતામાં એક એક હજાર લેખે કુલ રૂ.500 કરોડ જમા કરાવાશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું. એનએફએસએ હેઠળ આવતા પરિવારો પૈકી જેમનો કાર્ડ નંબરનો છેલ્લો અંક એક અને બે છે તેમને અનાજનું વિતરણ તા. 25મીને શનિવારથી હાથ ધરાશે.
જે કાર્ડધારકનો કાર્ડ નંબરના છેલ્લો અંક 1 કે પછી 2 હોય તેમને શનિવારે તા. 25મીએ અનાજ મળશે. આવી જ રીતે જેમના કાર્ડનો છેલ્લો આંક 3 કે 4 હોય તેમને રવિવારે તા. 26મીએ અનાજ મળશે તેમ સત્તાવાર સૂત્રોનું કહેવું છે. રાજ્યમાં 20મી એપ્રિલથી પાલિકા, મહાનગરપાલિકા અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં ન આવતા હોય તેવા વિસ્તારના ઉદ્યોગોને મંજૂરી અપાઈ છે. જેમાં આજદિન સુધીમાં 40 હજાર ઉદ્યોગો શરૂ થયા છે પરિણામે 5 લાખ શ્રમિક કામ કરી રહ્યા હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.