Publish Date: Thu, 15 Jun 2023 (10:58 IST)
Updated Date: Thu, 15 Jun 2023 (11:01 IST)
હાલ 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 180 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર, નલીયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. જોકે, પવનની ગતિમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 'બિપરજોય' વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. મુખ્યમંત્રીએ પ્રભાવિત જિલ્લાના અલગ અલગ ગામના સરપંચો સાથે ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી. આજે દ્વારકા અને કચ્છ તેમજ જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાવાગઢનું મંદિર 15 તારીખથી 16 તારીખે બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે આજે 15 તારીખના રોજ બંધ રેહશે.
વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇ કચ્છની શાળા, કોલેજોમાં વધુ 2 દિવસની રજા જાહેર કરાઈ છે. હવે 17જૂન સુધી શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રહેશે. સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. જોકે, આચાર્ય તથા સ્ટાફે હેડ કવાર્ટર પર ફરજિયાત હાજરી આપવાની રહેશે. બીજી તરફ ભુજ-નખત્રણા ધોરીમાર્ગ વચ્ચેના શિવમ પાટિયા નજીક જાહેર ખબરના હોર્ડિગ ઉતારવામાં ના આવતા આજે ભારે પવન આવતા હોડિંગ ધરાશાયી થયા હતા. 'બિપરજોય' વાવાઝોડું કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. જખૌ બંદરથી માત્ર 180 કિલોમીટર દૂર છે. આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઈ હાલ માંડવી ખાતે વરસાદ વરસી રહ્યો છે તેમજ માંડવીના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. માંડવીના દરિયામાં 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.