Publish Date: Mon, 02 Apr 2018 (19:14 IST)
Updated Date: Mon, 02 Apr 2018 (23:17 IST)
એટ્રોસિટી એક્ટ મુદ્દે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં આજે દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેને લઇ ગુજરાતમાં પણ ઠેર-ઠેર બંધની અસર જોવા મળી રહી છે. અમદાવાદના ચાંદખેડા, ગોમતીપુર, વાસણા, ચાંદલોડિયા, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યાં છે. જેને લઇને એએમટીએસની બસોના રૂટ બંધ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.બંધના પગલે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે અને ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. બંધના સમર્થનમાં સારંગપુર ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. જ્યાં એક દલિત સમાજના યુવાને બ્લેડ વળે પોતાના હાથની નસ કાપી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તિલક કર્યું હતું. બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટાયરો સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ચાંદલોડીયમાં ટોળાએ બસો અટકાવી દીધી છે. બંધના પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.