Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકોને 'હથિયાર' ન બનાવશો: કસ્ટડીના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટની માતા-પિતાને ફટકાર

high court
ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં બાળકોની કસ્ટડીને લઈને ચાલી રહેલા વિવાદ પર દંપતીઓને કડક ઠપકો આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે, માતા-પિતા પોતાના અંગત ઝઘડામાં બાળકોને હથિયાર તરીકે વાપરી રહ્યા છે, જે અત્યંત આઘાતજનક છે.
 

કોર્ટની કડક ટિપ્પણી: બાળક 'હથિયાર' નથી
 

ન્યાયાધીશ એન.એસ. સંજય ગૌડા અને ડી.એમ. વ્યાસની બેન્ચે હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન જણાવ્યું કે, વૈવાહિક વિવાદોમાં અનુકૂળ નિર્ણયો મેળવવા માટે બાળકની કસ્ટડીનો ઉપયોગ દબાણના સાધન તરીકે કરવામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "તમારા બાળકોને સોગઠું ન બનાવશો." આ પ્રકારનો અભિગમ સગીર બાળકોને બિનજરૂરી માનસિક આઘાત પહોંચાડે છે.
 

પાલનપુરના દંપતીનો વિવાદાસ્પદ કિસ્સો
 

આ કેસ પાલનપુરના એક દંપતીનો છે, જેમના લગ્ન ૨૦૨૦માં થયા હતા અને મે ૨૦૨૪માં તેઓ અલગ થયા હતા. પત્ની પોતાની ત્રણ વર્ષની પુત્રી સાથે પિયર રહેવા ગઈ હતી. વિવાદ ત્યારે વધ્યો જ્યારે જુલાઈ ૨૦૨૫માં એક છૂટાછેડાના દસ્તાવેજ હેઠળ બાળકની કસ્ટડી પતિને સોંપવામાં આવી. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તેની પાસે દબાણપૂર્વક અને છેતરપિંડીથી સહી કરાવવામાં આવી હતી.
 

 કાયદાકીય ગૂંચવણ અને છેતરપિંડીનો આક્ષેપ
 

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન છૂટાછેડાના દસ્તાવેજની પ્રામાણિકતા સામે શંકા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું કે એક તરફ દંપતીએ કોર્ટમાંથી છૂટાછેડાનું હુકમનામું સ્વીકાર્યું હતું, તો બીજી તરફ ખાનગી દસ્તાવેજો દ્વારા બાળકની કસ્ટડી ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયાને કોર્ટે અયોગ્ય ગણાવી હતી.
 

હાઈકોર્ટનો મહત્વનો આદેશ
 

તમામ પાસાઓની તપાસ કર્યા બાદ, હાઈકોર્ટે પતિને આદેશ આપ્યો કે તે બાળકીની કસ્ટડી તેની માતાને પરત સોંપે. સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પતિને કસ્ટડી જોઈતી હોય તો તેણે 'ગાર્ડિયનશિપ એન્ડ વોર્ડ્સ એક્ટ' હેઠળ ફેમિલી કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવી પડશે, પરંતુ બાળકને બળજબરીથી પોતાની પાસે રાખી શકાય નહીં.
 

બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ભાર
 

કોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઝઘડતા માતા-પિતા એ નથી સમજતા કે તેમની લડાઈ બાળકના હિતમાં છે કે નહીં. બાળક ઘણીવાર સમજી પણ નથી શકતું કે તે કેમ કોર્ટના ધક્કા ખાઈ રહ્યું છે. આ ચુકાદો એવા તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે જેઓ પોતાના અહમમાં બાળકોનું ભવિષ્ય જોખમમાં મૂકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખામેનીના મૃત્યુથી પાકિસ્તાનમાં હિંસા અને વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે