Publish Date: Mon, 06 Aug 2018 (11:21 IST)
Updated Date: Mon, 06 Aug 2018 (17:40 IST)
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે.
પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરે છે તેની બધીજ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. સ્વર્ગ અને વૈભવ જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે.
શિવના ત્રિશુળની એક ટોચ પર આખા કાશી વિશ્વનાથની નગરીનો ભાર છે. પુરાણોમાં એવું વર્ણન છે કે ગમે તેવો પ્રલય આવે છતાં પણ કાશીને કોઇ પણ પ્રકારનું નુકશાન નથી થતું.
ભારતમાં શિવને લગતાં ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે તેથી તે વધારે ફળ આપનાર છે. આ મહિનાના દરેક સોમવારે શિવમૂઠ ચડાવવામાં આવે છે. જે આ પ્રકારે છે-
પહેલા સોમવારે કાચા ચોખા એક મુઠ્ઠી, બીજા સોમવારે સફેદ તલ એક મુઠ્ઠી, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ એક મુઠ્ઠી.
મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના તેમજ વ્રત પોતાના પતિની લાંબી ઉંમર માટે કરે છે. અને તેમાંય વળી બધા જ વ્રતોમાંથી સોળ સોમવારનું વ્રત ખુબ જ શ્રેષ્ઠ છે. આ વ્રતને વૈશાખ, શ્રાવણ, કારતક, અને માગશર મહિનાના કોઇ પણ સોમવારથી ચાલુ કરી શકાય છે. આ વ્રતની સમાપ્તી સત્તરમા સોમવારે સોળ દંપત્તીને ભોજન તેમજ કોઇ બીજું દાન આપીને થાય છે.
શિવની પૂજામાં બીલીપત્રનું ખુબ જ મહત્વ છે. શિવ દ્વારા વિષપાન કરવાથી શિવના મસ્તક પર પાણીની ધારથી જળાભિષેક ભક્તો દ્વારા કરવામાં આવે છે. શિવે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કર્યાં છે.
શિવનો અગીયારમો અવતાર હનુમાનના રૂપમાં થયો હતો. આખા શ્રાવણમાસ દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યંજય મંત્રનો પાઠ તેમજ જપ કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ કરવાથી વધું ફળ મળે છે.
webdunia
Publish Date: Mon, 06 Aug 2018 (11:21 IST)
Updated Date: Mon, 06 Aug 2018 (17:40 IST)