Publish Date: Mon, 06 Apr 2020 (14:08 IST)
Updated Date: Mon, 06 Apr 2020 (14:11 IST)
વડોદરામાં કોરોના વાઈરસથી આજે વધુ એક મોત થયું છે. શ્રીલંકાના પ્રવાસે પરત ફરેલી મહિલાનું કોરોના વાઈરસથી મોત થયું છે. જેથી વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી 2 લોકોના મોત થયા છે.વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા શહેરના 62 વર્ષની કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. આ મહિલા શ્રીલંકાના પ્રવાસેથી પાછા ફર્યા પછી 18 માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા પછી તેમનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરામાં કોરોના વાઈરસથી અગાઉ એક પુરુષનું મોત થયું હતુ અને આજે એક મહિલાનું મોત થયું છે. વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, એક 15 વર્ષની ઉંમરના કિશોર અને 27 વર્ષની ઉંમરના યુવાનનો કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરાના કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 12 થઇ ગઇ છે. આ લોકોના સેમ્પલ ગઇકાલે લેવામાં આવ્યા હતા. એમને હાલમાં ગોત્રી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે . જ્યારે શહેરમાં આજે વધુ એક રાંદેરના 52 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના બે શંકાસ્પદ દર્દીઓના મૃત્યુ નીપજયા હતા. જે પૈકી એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એક વ્યક્તિનો રિપોર્ટ આવવાનું હજી બાકી છે. સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર અને કડોદરા વિસ્તારના શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતા બે વ્યક્તિઓના સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બેના મોત થયા છે અને પાંચ રિકવર થયા છે. ખાનગી વાહનોની અવર જવર પર પ્રતિંબંધ મૂકી કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.