Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
સુરતના કતારગામ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરો જેલ ભેગા થઈ ગયા છે. આ પ્રકરણ બાદ રાજકારણ સાથે લોકોમાં પણ ભાજપના કોર્પોરેટર રોષ ફાટી નીકળ્યો છે. કતારગામ વિસ્તારમાં કોર્પોરેટર ની ગ્રાન્ટમાંથી મુકાયેલા બાંકડા પર લાંચિયા શબ્દ ઉમેરાયો છે.
સુરતના કતારગામ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર જેન્તી ભંડેરી ગેરકાયદેસર બાંધકામ માટે 50 હજાર રૂપિયાની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. લાંચ લેતા પકડાયા બાદ કોર્પોરેટર જેલ ભેગા થઈ ગયા છે. ગઈકાલે કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચારી કોર્પોરેટરના પોસ્ટર લગાવ્યા હતા. આ વિસ્તારમાં જેન્તી ભંડેરી દ્વારા નાના બાંધકામો કરનારાને પણ હેરાન કરતા હોવાની ફરિયાદ બહાર આવી છે.
ભંડેરીના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા લોકોમાં તેની હરકત સામે ભારે આક્રોશ ફેલાયો છે. ભંડેરી સતા પર હતા ત્યારે લોકો કશું બોલી શકતા ન હતા પરંતુ હવે લાંચ કેસમાં પકડાયા બાદ જેલ ભેગો થઈ જતા લોકોની હિંમત ખુલી છે. કતારગામ કોઝવે નજીક મેઘમાયા ચોકમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી મૂકવામાં આવ્યા છે. આ બાકડાને કારણે ભૂતકાળમાં ભંડેરી વિવાદમાં આવ્યા હતા.
પાલિકાએ નક્કી કરેલા બાંકડાના કલરને બદલે ભંડેરીએ ભગવા કલર કરી દીધો હતો. આ મુદ્દે વિવાદ થતાં નીચી મૂંડીએ ફરી એકવાર પાલિકાએ નક્કી કરેલો ગ્રે કલર કરી દેવામાં આવ્યો હતો. આ બાકડા કોર્પોરેટર જયંતિની ગ્રાન્ટમાંથી મૂકવામાં આવ્યા છે. જેના કારણે બાંકડા પર કોર્પોરેટર જયંતિ ભંડેરીની ગ્રાન્ટમાંથી તેવું લખાયું છે. જોકે આ લાંચ પ્રકરણ બાદ લોકોમાં ચાલેલા રોષને પગલે લોકોએ કોર્પોરેટરને બદલે લાંચ્યા એવું કરી દીધું છે. હાલ તો ભંડેરીસામે લાંચની એક ફરિયાદ થઇ છે પરંતુ ભોગ બનેલા લોકોમાં આક્રોશ જોઇ આગામી દિવસોમાં વધુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.