Publish Date: Tue, 30 Jul 2019 (14:19 IST)
Updated Date: Tue, 30 Jul 2019 (14:20 IST)
છેલ્લા 24 કલાકથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં સૌથી વધુ 11.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યમાં આ વર્ષની વરસાદી મોસમમાં આજ સુધી 293 પશુઓનાં મૃત્યું નીપજ્યાં છે જ્યારે કુલ 56 લોકોનાં મૃત્યું નીપજ્યાં છે. મૃત્યુ આંકમાં વિગતે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી વીજળી પડવાથી 27 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લોકોનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. ઝાડ પડવાથી 4 લોકોનાં જ્યારે મકાન પડી જવાથી 5 મૃત્યું નીપજ્યાં છે. અન્ય કારણસર 14 લોકોનાં મોત નીપજ્યાં છે. એટલે કુલ માનવ મૃત્યુનો આંક 56 પહોંચી ગયો છે. જ્યારે આજ સુધી 293 પશુઓનાં મૃત્યું નીપજ્યાં છે.મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 309.01 મિલીમીટર વરસાદ પડ્યો છે. જે મોસમનો 37.87 ટકા વરસાદ થયો છે. રાજ્યની ડેમોની સ્થિતિ જોઇએ તો એક ડેમ 70%થી 100 ટકા વચ્ચે ભરાયેલા ડેમોની સંખ્યા 5 છે. 50 ટકાથી 70 ટકા વચ્ચે ભરાયેલા 6 ડેમ છે. 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા 27 ડેમ છે જ્યારે 25 ટકાથી નીચે ભરાયેલા 165 ડેમ છે.રાજ્યમાં વરસાદને પગલે 9 તાલુકાના 59 ગામો વીજળી વિહોણા બન્યાં છે. સૌથી વધુ દેવભુમિ દ્વારકા ખાતે લાલપુરના 13 ગામો વિજળી વિહોણા બન્યાં છે. વલસાડના કાશ્મીરનગરમાં પાણી ભરાતાં 9 વ્યક્તિને સ્થળાંતરિત કરી પ્રાથમિક શાળામાં ખસેડાયાં હતાં. વિજળી વિહોણા તાલુકાના ગામ બારડોલીનાં 2, જામ જોધપુરનાં 6, જામનગરનાં 3, કાલાવાડનાં 5, લાલપુરનાં 13, ભાણવડનાં 2, દ્વારકાનાં 9, કલ્યાણપુરના 16 તથા ખંભાળિયાનાં 3 ગામોનો સમાવેશ થયા છે.