Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
મકરસંક્રાંતિના તહેવાર પર ચાઇનીઝ દોરીની કપાયેલી પતંગથી દર વર્ષે અનેક લોકો અને પક્ષીના ગળા કપાઇ છે. છેલ્લા પાંચેક વર્ષથી તો દર વર્ષે એક માનવ જિંદગી કપાયેલી પતંગની દોરીથી પૂરી થઇ ગઇ હોય તેવી ઘટનાઓ બની છે. આગામી મકરસંક્રાંતિના પર્વ પર કોઇ આવી દુર્ઘટના ન ઘટે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું હતું કે, કોઇપણ વ્યક્તિ જોખમી રીતે જાહેરમાર્ગ, ફૂટપાથ કે ધાબા પર પતંગ ઉડાડી શકશે નહીં. આમ જનતાને ત્રાસરૂપ થાય તે રીતે મોટા અવાજમાં લાઉડસ્પીકર વગાડી શકાશે નહીં, કપાયેલા પતંગો એ દોરીઓ મેળવવા માટે હાથમાં બાંબુ પાઇપ સહિતની વસ્તુઅો લઇને દોડાદોડી કરી શકાશે નહીં, જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ અને પશુઓને જાહેરમાં ઘાસચારો નખાતો હોવાથી ટ્રાફિક સમસ્યા થાય છે જેથી જાહેરમાં ઘાસચારાનું વેચાણ કે ઘાસચારો નાખી શકાશે નહીં, ચાઇનીઝ દોરીનું વેચાણ કે તેનો ઉપયોગ કરી શકાશે નહીં, ઉશ્કેરણીજનક લખાણવાળી પતંગ ઉડાડી શકાશે નહીં. આ ઉપરાંત ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન વેચી શકાશે નહીં અને ઉડાડી પણ શકાશે નહીં, આ જાહેરનામું તા.5 જાન્યુઆરીથી તા.16 જાન્યુઆરી સુધી અમલી રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.