Publish Date: Mon, 17 Aug 2020 (12:09 IST)
Updated Date: Mon, 17 Aug 2020 (12:11 IST)
સરદાર પટેલની જન્મ જયંતિની કેવડિયા રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે.તેમજ આ વર્ષે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને 3 વર્ષ પુરા થઈ રહ્યા છે. જેને પગલે સરદારની આ જન્મ જયંતિ પ્રસંગે PM મોદી પણ 31 ઓક્ટોબર ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની મુલાકાત લે એવી શક્યતા છે. આ પહેલા 2014માં ભારત સરકારે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875માં ગુજરાતના કરમસદમાં થયો હતો. તેઓ જ્યારે મહાત્મા ગાંધી સાથે ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા ત્યારે નામાંકિત વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. આ ચળવળ બાદ સરદાર મોટા ગજાના નેતા તરીકે જાણીતા થયા હતા. સરદાર પટેલે ગુજરાતમાં ખેડા, બોરસદ અને બારડોલીના ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી મહત્વની ભૂમિકા ભજવી હતી તેમ જ બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારત છોડો આંદોલનને પ્રોત્સાહન આપવામાં પણ તેમની ભૂમિકા મુખ્ય રહી હતી. 1947-48માં દેશ સ્વતંત્ર થયા બાદ 500થી વધુ રજવાડાઓને એક કરી આજના ભારતને બનાવવાનો શ્રેય પણ સરદારને જાય છે.