Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
તાજેતરમાં એક ન્યૂઝ ચેનલમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ, ઠાકોરસેનાના આગેવાન અલ્પેશ ઠાકોર અને દલિત સેનાના નેતા જિજ્ઞેશ મેવાણીની ડિબેટનો શો ચાલ્યો હતો. આ શોમાં ચેનલ દ્વારા વિવિધ આમંત્રિતોને શોમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ પાટીદાર આંદોલનના એક નેતા વરુણ પટેલે ફેસબુક પર એક વિડીયોમાં એવું નિવેદન આપ્યું હતું કે આખા દેશની જાણીતી અને દમદાર કહેવાતી ચેનલને ભાજપ દ્વારા નપુંસક બનાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વરુણ પટેલે વધુમાં કહ્યું હતું કે ચેનલ દ્વારા આ ડિબેટ ઉપરાંત એક સોશિયલ મીડિયાનું સેશન પણ હતું જેમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાર્દિક પટેલની આ ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ માણસ હાજર રહ્યો નથી કારણ કે તેને આ ડિબેટમાં આવવાની ના પાડી દેવામાં આવી હતી.
જ્યારે સોશિયલ મીડિયાના સેશનમાં ગેસ્ટ તરીકે હું હતો અને બીજેપી તરફથી ચેનલને એવી રીતે દબાણમાં લાવવામાં આવી. જેમાં બીજેપી તરફથી ચેનલને એવું કહેવામાં આવ્યું હતું કે ચેનલના આજના કાર્યક્રમમાં સાંજ સુધીમાં જો પાટીદાર આંદોલનનો કોઈ વ્યક્તિ ગેસ્ટ બનશે તો બીજેપી તરફથી કોઈ હાજર નહીં રહે. ત્યારે ચેનલે બીજેપીના દબાણને કારણે ચેનલે મને રીકવેસ્ટ કરી કે તમે આ પોગ્રામમાંથી બહાર નિકળી જાઓ કારણ કે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ અને નિર્મલા સિતારામણ પણ અમારા કાર્યક્રમમાં આવવાની ના પાડે છે. વરુણ પટેલે બીજેપી પર મીડિયાનો અવાજ દબાવવાનો પણ આક્ષેપ કર્યો હતો.