Publish Date: Mon, 14 Sep 2020 (13:04 IST)
Updated Date: Mon, 14 Sep 2020 (13:06 IST)
શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આવતી વિવિધ ટ્રેન દ્વારા આવતાં મુસાફરોમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.રવિવારે ચાર ટ્રેનના કુલ 2188 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવતાં 41 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.સૌથી વધુ હાવરા એકસપ્રેસ ટ્રેનના 17 મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આવતી પરપ્રાંતની ટ્રેન દ્વારા આવતા મુસાફરોના મ્યુનિ.ની મધ્ય ઝોન હેલ્થ,એસ્ટેટ વિભાગ સહીતની વિવિધ મેડીકલ ટીમ દ્વારા રેપિડ એન્ટિજન ટેસ્ટ છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી રહ્યાં છે. રવિવારે કુલ ચાર ટ્રેનમાં અમદાવાદ પહોંચેલા કુલ 2188 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.આ પૈકી રાજધાની એકસપ્રેસના કુલ 783 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવતાં 16 મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યાં હતા.હાવરા એકસપ્રેસ ટ્રેનના કુલ 480 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવતાં 17 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યાં હતા. ગોરખપુર એકસપ્રેસ ટ્રેનના કુલ 467 મુસાફરોના ટેસ્ટ થતાં ચાર મુસાફરો અને મુઝફરપુર એકસપ્રેસ ટ્રેનના કુલ 458 મુસાફરોના ટેસ્ટ થતાં ચાર મુસાફરો પોઝિટિવ મળ્યા હતા. મ્યુનિ.દ્વારા એક જ દિવસમાં ચાર ટ્રેનના કુલ 2188 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવતાં 41 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવતાં તમામને નજીકના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યાં છે.