Publish Date: Fri, 19 Jun 2020 (09:57 IST)
Updated Date: Fri, 19 Jun 2020 (09:59 IST)
જાણીતા કથાકાર મોરારીબાપૂ સામે ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ અને પરિવારજનો અંગે ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ચોમેરથી વિરોધ ઉઠયો છે અને આહિર સમાજ તેમજ કૃષ્ણ ભક્તિ પરંપરામાં માનતા અન્ય સમાજ દ્વારા મોરારીબાપૂ માફી માગેની માંગ સાથે રજૂઆતો થઈ રહી છે ત્યારે રાજકોટમાં આહિર સમાજના ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ એક સાથે મોરચો ખોલી કલેકટરને આવેદન પાઠવીને બાપૂ દ્વારકાધિશને ચરણે શીશ ઝૂકાવી માફી માંગે નહિતર આંદોલન કરાશે તેવી ચિમકી ઉચ્ચારાઈ હતી. આ દરમિયાન મોરારી બાપૂ આજે દ્વારકા પહોંચ્યા હતા જ્યાં ભાજપના પૂર્વધારાસભ્ય પબૂભા માણેક દ્વારા તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા મારોરી બાપૂ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન પૂનમ માડમ સહિતના નેતાઓ ત્યાં હાજર હતા. આ પહેલા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતા, ભૂતપૂર્વ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા તેમજ અન્ય આગેવાનો સાથે જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને ભૂતપૂર્વ કારોબારી ચેરમેન અર્જૂનભાઈ ખાટરીયા વિગેરે આજે સયુક્ત રીતે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને સુત્રોચ્ચાર સાથે દેખાવો કરાયા હતા અને મોરારી બાપૂને માફી માંગવા જણાવ્યું હતું. અગાઉ પણ મોરારી બાપુએ સ્વામીનારાયણ સંપ્રદાય વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી વિવાદ વહોર્યો હતો. જેમાં પાછળથી તેમણે સજળનેત્રે માફી પણ માગી હતી.