Publish Date: Mon, 18 Nov 2019 (13:49 IST)
Updated Date: Mon, 18 Nov 2019 (13:56 IST)
અમદાવાદ નિત્યાનંદ આશ્રમમાંથી કથિત રીતે ગુમ થયેલી પુત્રી નિત્યાનંદિતાને શોધવા આવેલા માતાપિતા જોગ વીડિયો સંદેશમાં પુત્રીએ કહ્યું, 'હું મરજીથી પ્રવાસે નીકળી છું, મારૂં અપહરણ થયું હોવાની વાતો પાયા વિહોણી છે. મેં મરજીથી આ માર્ગે પસંદ કરેલો છે. મારા માતાપિતાના તમામ આક્ષેપો ખોટા છે.' નિત્યાનંદિતાએ વીડિયોમાં જણાવ્યું, 'પાછલા કેટલાય દિવસોથી માધ્યમોમાં ખોટા સમાચારો વહી રહ્યા છે. હું મારા લોકો સાથે સતત પ્રવાસ કરી રહી છું. મારૂં અપહરણ થયું હોવાની વાતો ખોટી છે. દુ:ખ સાથે કહેવું પડે છે કે જનાર્દન અને મારા માતાપિતાના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે જુઠ્ઠા છે. 19 વર્ષની ઉંમરે મારામાં માધ્યમોને સામે ચાલીને જવાબ આપવાની ક્ષમતા નથી. હું મારી જાતને આ તણાવ અને ત્રાસથી દૂર રાખવા માંગુ છું તેથી હું પ્રવાસે નીકળી ગઈ છું. હું મારી સ્વ ઇચ્છાએ બહાર નીકળી છું. મારૂં કોઈ અપહરણ થયું નથી.'નિત્યાનંદિતાએ મીડિયા જોગ સંદેશો આપતા કહ્યું, “મારા આશ્રમે કે મારી સંસ્થાએ મારૂં કોઈ પણ પ્રકારનું અપહરણ નથી કર્યુ, પરંતુ મને બીક છે કે મારા માતાપિતા અપહરણની બીકે મારા માતાપિતા મારૂં અપહરણ કરાવી શકે છે. આ અમારા પરિવારનો પ્રશ્ન છે જેને મારા માતાપિતાએ જાહેર બનાવ્યો છે.”વિવાદિત સ્વામી નિત્યાનંદના હાથીજણ ખાતે આવેલા યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં તામિલનાડુના પરિવારને તેમની દિકરીઓને મળવા ન દેવાતા આ વિવાદ વધારે વકર્યો છે. આ અંગે પોલીસે ગઇકાલે પ્રાથમિક તપાસને અંતે નિત્યાનંદ આશ્રમના સ્થાપક નિત્યાનંદ અને બે મહિલા સન્યાસી પ્રાણપિર્યા અને પિર્યતત્વા વિરૂધ્ધમાં અલગ જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ગુમ યુવતીનાં પરિવારને થ્રેટ હોવાથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે પરિવારને પોલીસ સુરક્ષા આપી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આશ્રમનાં એડવોકેટ નીતિન ગાંધી આશ્રમ પહોંચ્યા છે.