Publish Date: Sat, 03 Feb 2018 (11:49 IST)
Updated Date: Sat, 03 Feb 2018 (11:52 IST)
રાજયમાં પીવા અને સિંચાઇના પાણી માટે મહત્વના ગણાતા નર્મદા ડેમમાં પાણી ઓછું હોવાથી ખેડૂતોને ઉનાળું પાક ન કરવાની ચેતવણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી હતી. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા ખેડૂતોને સ્પષ્ટ સંદેશ આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ડેમમાં પાણી ઓછું હોવાથી ઉનાળું પાક માટે ખેડૂતોને પાણી અપાશે નહીં. એજ્યુકેશન ફેરનું ઉદ્દઘાટન કર્યા પછી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નર્મદાના પાણી પર રાજ્યના 10 હજાર થી વધુ ગામડા અને 167 જેટલા નગરોને પીવાના પાણીની તકલીફ ન પડે તેટલા માટે ઉનાળુ પાક ખેડૂતો ન કરે તેવી અપેક્ષા રખાય છે. તેમણે કહ્યું હતું કે રાજય સરકારે ચોમાસું અને શિયાળું પાક માટે પાણી આપ્યું હતું અને શિયાળું પાક પર કોઇ અસર ન પડે તેટલા માટે ઉનાળામાં પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે, નર્મદાના પાણીની પ્રથમ પ્રાથમિકતા પીવાના પાણીની છે, જેથી નર્મદાના પાણીનો ઉપયોગ પીવામાં થશે. પાણી કાપ થવાને કારણે ખેડૂતોને ઉનાળુ પાકનુ વાવેતર ના કરવાની સલાહ આપીને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યુ હતુ કે ગુજરાતના ખેડુતોને ઉનાળા દરમિયાન નર્મદાનુ પાણી નહી મળે. તેમણે ખેડૂતોને કહ્યું હતું કે, 20 વર્ષમાં એકાદ વખત આવી સ્થિતિ આવી છે, જેથી આ નિર્ણયથી આપણે પાર પડવાનું છે. જેમાં દિવસમાં 30 હજાર ક્યુસેક પાણી આવે છે, પરંતુ ચોમાસા બાદ ઓછા વરસાદને કારણે ગુજરાતમાં આવતુ પાણી હવે 1800 થી 3000 ક્યુસેક થયુ છે,બીજીબાજું ખેડૂતોને ચોમાસુ, શિયાળું પાક માટે પાણીની જાવક ચાલુ છે. હવે નર્મદા ડેમમાં પાણી આવતું બંધ થઇ ગયું છે. ચોમાસા, શિયાળામાં 8.8 લાખ હેકટરમાં નર્મદાથી પાક થાય છે. સરકાર અગાઉ જાહેરાત કરી હતી કે,ઉનાળામાં નર્મદાનું પાણી આપવામાં આવતું નથી, આમછતા ઉનાળામાં રાજયમાં આઠ હજાર હેકટરમાં પાક થાય છે.નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ ફક્ત ગુજરાત જ નહિ પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ પાણીનો કાપ મુક્યો છે. ચોમાસા થી ચોમાસા સુધી નર્મદા નદીમાં સતત ઉપરવાસથી પાણી આવતુ રહે છે.