Publish Date: Sat, 29 Aug 2020 (14:51 IST)
Updated Date: Sat, 29 Aug 2020 (14:52 IST)
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને નેતાઓની રેલીઓ-પ્રદર્શનો સામે તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે સમગ્ર ગુજરાતમાં સોશીયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડાવીને વિદ્યાર્થીઓને ઉશ્કેરવા અને અરાજકતા ફેલાવવા રેલીઓ-પ્રદર્શનો યોજીને રાજકીય નાટક કરી રહી છે. એકબાજૂ તે ભાજપ ઉપર સોશીયલ ડિસ્ટન્સનો રાજકીય આક્ષેપ કરે છે બીજીબાજૂ પોતે સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા કરે છે.
ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દર વખતે બે મોઢાંની વાત કરે છે. પહેલાં સંચાલક, વાલીઓ, વિદ્યાર્થીઓના સંદર્ભમાં અગાઉ અલગ અલગ નિવેદનો આપ્યાં છે. હવે પરીક્ષાના મુદ્દે અલગ અલગ રાજકીય સ્ટંટ કરે છે. કોંગ્રેસને લોકતંત્રમાં વિશ્વાસ નથી,ચૂંટણીપંચમાં વિશ્વાસ નથી અને હવે ન્યાયતંત્રમાં પણ વિશ્વાસ નથી. જયારે સુપ્રિમ કોર્ટે નીટ કે જીઈઈ કે અન્ય પરીક્ષાઓ માટે જે ડાયરેકશન ઓર્બ્જવેશન, જજમેન્ટ આપ્યું હોય તેનો વિરોધ કરવો તે કેટલાં અંશે યોગ્ય છે ? કોંગ્રેસને વિદ્યાર્થીઓની કારકિર્દી કે ભવિષ્ય સાથે કોઈ લેવાં-દેવાં નથી. તેનો બદઈરાદો એ દેશમાં અરાજકતા ફેલાવવાનો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું ગુંચવાયું છે. ગાંધી પરીવારમાં રાહુલ ગાંધી કે પ્રિયંકા વાડ્રાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની કવાયત નિષ્ફળ જતાં શ્રીમતી સોનિયા ગાંધી કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ રાખવામાં આવ્યાં.23થી વધુ કોંગ્રેસના સીનીયર નેતાઓએ પરીવર્તન માટેનો પત્ર લખીને આંતરીક જૂથબંધની પરાકાષ્ઠા સર્જી દીધી છે.
ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો બદઈરાદો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરીને કેન્દ્રની કોંગ્રેસમાં આંતરીક જૂથબંધીના સમાચારોને ડાયવર્ટ કરવાનો છે. દેશમાં અસ્થિરતા અને અરાજકતા સર્જવા માટે દરેક રાજયોમાં પરીક્ષા મુદ્દે આંદોલન કરવાની સૂચના આપી છે. એટલે ગુજરાત કોંગ્રેસ પણ કેન્દ્રની કોંગ્રેસની સૂચનાથી મિડીયામાં પ્રસિદ્ધી મેળવવા માટે આ રાજકીય નાટક કરી રહી છે. તે ગુજરાતની જનતા જાણે છે. ઉશ્કેરાટ ફેલાવનીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રાજકીય રમત રમતી કોંગ્રેસને અરાજકતા ફેલાવવામાં કયારેય સફળતા મળવાની નથી. પ્રજા કયારેય કોંગ્રેસની સ્વીકારવાની નથી.
webdunia
Publish Date: Sat, 29 Aug 2020 (14:51 IST)
Updated Date: Sat, 29 Aug 2020 (14:52 IST)