Publish Date: Fri, 20 Apr 2018 (14:58 IST)
Updated Date: Fri, 20 Apr 2018 (15:05 IST)
વર્ષ 2002ના નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. માયા કોડનાનીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે બાબુ બજરંગીની મુશ્કેલીઓ વધી છે. કારણ કે કોર્ટે તેની સજા યથાવત રાખી છે અને જીવશે ત્યાં સુધી જેલમાં રહેશે. બાબુ બજરંગીને સ્પેશિયલ કોર્ટે 21 વર્ષની સજા કરી હતી. હાઈકોર્ટે બજરંગી સહિત 3 લોકોને કોર્ટે ષડયંત્રકારી ગણાવ્યાં. મુકેશ ઉર્ફે વકીલ, હીરાજી મારવાડી સહિત 12 લોકોને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. 31માંથી 14 દોષિત જ્યારે 17ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.
એકનું અગાઉ મોત થઈ ચૂક્યું છે. જસ્ટિસ હર્ષા દેવાણી અને ન્યાયમૂર્તિ એ એસ સુપેહિયાની પેનલે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ ગત વર્ષ ઓગસ્ટમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં સ્પેશિયલ કોર્ટે ભાજપના ધારાસભ્ય માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 32 લોકોને દોષિત ઠેરવતા ઉમરકેદની સજા સંભળાવી હતી. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા પર પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યાં છે. ન્યૂઝ ચેનલ સાથે એક ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે કોડનાનીને નિર્દોષ છોડી મૂકવા એક મોટો સવાલ છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે જો બાબુ બજરંગીની સજા યથાવત રાખી તો માયા કોડનાની નિર્દોષ કેવી રીતે? હાર્દિકે કહ્યું કે ન્યાયપાલિકા પર ભરોસો કરવો જ પડે છે. આમ કોડનાનીના નિર્દોષ છૂટકારા બાદ રાજ્યમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.અત્રે જણાવવાનું કે આજે આવેલા ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે માયા કોડનાનીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવે છે.
webdunia
Publish Date: Fri, 20 Apr 2018 (14:58 IST)
Updated Date: Fri, 20 Apr 2018 (15:05 IST)